ભોપાલઃ શહેરમાં નવો બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ (ROB) જે તેના આશરે 90 ડિગ્રીના વળાંકને કારણે સોશિયલ મિડિયા પર મજાકનો વિષય બન્યો હતો, હવે એ તપાસના ઘેરામાં આવી ગયો છે. જેમ-જેમ આ અજીબોગરીબ ડિઝાઇન પાછળનાં કારણો સામે લાવવાની કોશિશ થઈ રહી છે, તેમ-તેમ PWD અને રેલવેના અધિકારીઓ એકબીજાને દોષ આપતા જોવા મળી રહ્યા છે. રાજધાનીના એશબાગ વિસ્તારમાં આવેલો 648 મીટર લાંબો આ પૂલને બનાવવામાં 18 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેને બનાવવાનો મુખ્ય હેતુ રેલવે ક્રોસિંગ પર થતા ટ્રાફિક જામથી મુક્તિ અપાવવી અને દરરોજ અંદાજે ત્રણ લાખ મુસાફરોની અવરજવરને સરળ બનાવવાનો હતો.
PWDના એન્જિનિયર-ઇન-ચીફ કે.પી.એસ. રાણાએ જણાવ્યું હતું કે આ પૂલની ડિઝાઇનને 2018માં મંજૂરી આપવામાં આવી હતી. આ ડિઝાઇન બ્રિજ એન્જિનિયરિંગ વિભાગની ટીમે તૈયાર કરી હતી, જેમાં સહાયક ઇજનેર, અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને મુખ્ય ઇજનેર સ્તરના અધિકારીઓ સામેલ હતા.
સમિતિની રચના
રાણાએ કહ્યું હતું કે અમે આ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ ROB યોજનાઓ માટે જરૂરી વિગતવાર લેઆઉટ યોજના–જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ (GAD) – ભારતીય રેલવેની સહભાગિતાથી તૈયાર કરવામાં આવે છે અને તેની દેખરેખ PWDના મુખ્ય ઇજનેર (પૂલ વિભાગ) દ્વારા કરવામાં આવે છે. જોકે આ મામલામાં મુખ્ય ઇજનેર જી.પી. વર્માએ ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો હતો.
રાણાએ જણાવ્યું હતું કે અંતિમ મંજૂરી માત્ર પૂલ વિભાગના મુખ્ય ઇજનેર સુધી જ મર્યાદિત રહી ગઈ હતી અને આ ડિઝાઇન ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ન હતી. તેમણે જણાવ્યું હતું કે ડિઝાઇન બ્રિજ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. રેલવે અને PWDના અધિકારીઓની મદદથી GADને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. નિર્માણ કાર્ય માટે ખાનગી કોન્ટ્રેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યો હતો, જેને અંતિમ તબક્કામાં વધુ મહત્વની ભૂમિકા ભજવવી પડી. જો યોગ્ય સમન્વય થયો હોત, તો અમે ડિઝાઇનમાં સુધારો કરી શક્યા હોત અથવા અંડરબ્રિજનો વિકલ્પ પસંદ કરી શક્યા હોત. રેલવેએ પણ જગ્યાની અછતને ધ્યાનમાં રાખીને પોતાના સ્તરે ROB બનાવ્યો હતો.
