UCC મુદ્દે ઈદના દિવસે અમદાવાદમાં વિરોધ-પ્રદર્શન

અમદાવાદ: UCC બિલનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યો છે. આ બિલ ગમે ત્યારે ગુજરાત વિધાનસભામાંથી પસાર થઈ શકે છે. ત્યારે આજે ઈદ-ઉલ-ફિત્રના તહેવારના દિવસે જ AIMIM પાર્ટીના કાર્યકર્તાઓએ શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધકર્તા એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આ બિલ લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે.AIMIMના કાર્યકર્તાઓ હાથમાં બેનર્સ અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. દેખાવકારોએ  ‘UCC હટાવો, દેશ બચાવો’, ‘UCC રદ કરો’ અને ‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’ જેવા નારા લગાવ્યા હતા. દેખાવકારોનું કહેવું છે કે આ બિલ સામાજિક માળખાને નુકસાન પહોંચાડશે અને તે લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્કૃતિની વિરુદ્ધ છે.

આ દેખાવો કરવા માટે પોલીસની પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હતી. પરિણામે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. મસ્જિદની બહાર પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત હતો. દેખાવો શરૂ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ દેખાવકારોની અટકાયત કરી હતી. ઈદનો તહેવાર હોવાથી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.