કર્ણાટકમાં PM મોદીના ભાઈની કારનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે બપોરે કર્ણાટકના મૈસૂર નજીક કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા. પ્રહલાદ મોદી તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે મર્સિડીઝ બેન્ઝ કારમાં બાંદીપોરા જઈ રહ્યા હતા, ત્યારે બપોરે 2 વાગ્યે તે ડિવાઈડર સાથે અથડાઈ હતી. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઈજાઓ ગંભીર નથી. આ ઘટના કડાકોલા નજીક બપોરે 1.30 વાગ્યે બની હતી જ્યારે તેમની કાર બાંદીપુરના માર્ગ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી છે તેમાં કારના આગળના ભાગને ગંભીર નુકસાન થયું છે. પીટીઆઈના સૂત્રોએ જણાવ્યું કે મૈસુરના પોલીસ અધિક્ષક સીમા લટકરે ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી છે.