PM મોદી યુદ્ધ વચ્ચે યુક્રેનની મુલાકાત લેશે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી ટૂંક સમયમાં યુક્રેનની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની રશિયાની મુલાકાતના લગભગ બે મહિના બાદ યુક્રેનની મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી પોલેન્ડ પણ જશે. પીએમ મોદી 21 થી 23 ઓગસ્ટ વચ્ચે બંને દેશોની મુલાકાત લઈ શકે છે.

વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું છે કે યુક્રેન સિવાય પીએમ મોદી પોલેન્ડની પણ મુલાકાત લેશે. તમને જણાવી દઈએ કે પોલેન્ડ નાટોનું સક્રિય સભ્ય છે. રશિયા સાથેના સંઘર્ષ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે પીએમ મોદી 45 વર્ષ બાદ પોલેન્ડ અને 30 વર્ષ બાદ યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન બનશે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઝાલેન્સકી કિવમાં મળશે.

ભારતે વેપાર ચાલુ રાખ્યો છે

વર્ષ 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ પશ્ચિમી દેશોએ મોસ્કો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ભારતે તેની સાથે વેપાર ચાલુ રાખ્યો છે. યુદ્ધની શરૂઆતથી, ભારતે ક્યારેય રશિયા અથવા યુક્રેનને સીધું સમર્થન આપ્યું નથી. ભારત હંમેશા બંને દેશોને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવવા વિનંતી કરતું આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની વાત કરી રહ્યું છે અને વાટાઘાટો દ્વારા ઉકેલની તરફેણમાં છે.

યુક્રેનિયનોએ પીએમ મોદીની નિંદા કરી હતી

પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઉપરાંત પોલેન્ડના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પણ મળશે. પીએમ મોદીએ આ પહેલા રશિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને રશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પુતિન પોતે તેમને લેવા આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સ્કીએ પણ મોદીની રશિયા મુલાકાતની ટીકા કરી હતી. ત્યારે ભારત પુતિન સાથે પરમાણુ ઉર્જાથી લઈને દવા, અવકાશ અને સૈન્ય સુધીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંમત થયું હતું.