મહિલાઓ વિરુદ્ધ અપરાધ ક્ષમાપાત્ર નથી : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના જલગાંવ પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે લખપતિ દીદી સંમેલનને સંબોધિત કર્યું. લખપતિ દીદી સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કોલકાતા હત્યા કેસ પર કહ્યું, ‘અમારી સરકાર પણ મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને સખત સજા આપવા માટે કાયદાને સતત કડક બનાવી રહી છે.’ પીએમએ કહ્યું, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અક્ષમ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે આટલી મોટી સંખ્યામાં દેશની બહેનો અને દીકરીઓ અહીં છે. અગાઉ એવી ફરિયાદો હતી કે એફઆઈઆર સમયસર દાખલ કરવામાં આવતી ન હતી, સુનાવણી હાથ ધરવામાં આવતી ન હતી અને કેસોમાં વિલંબ થતો હતો.

મહિલાઓ ઘરેથી જ FIR નોંધાવી શકે છે

PM એ એમ પણ કહ્યું કે, ‘અમે ભારતીય ન્યાયિક સંહિતાના સમગ્ર પ્રકરણમાં આવા ઘણા અવરોધો દૂર કર્યા છે જે મહિલાઓ અને બાળકો સામેના અત્યાચારો સાથે સંબંધિત છે. જો પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન જવા માંગતી નથી, તો તેઓ ઘરેથી ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે. અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે પોલીસ સ્ટેશન સ્તરે કોઈ પણ ઈ-એફઆઈઆર સાથે ચેડાં કરી શકશે નહીં. PMએ 11 લાખ લખપતિ દીદીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા. જલગાંવના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે આઝાદી પછીની અગાઉની તમામ સરકારો કરતા છેલ્લા 10 વર્ષમાં મહિલાઓ માટે વધુ કામ કર્યું છે.