PM મોદી અને નેધરલેન્ડના પીએમ રોબ જેટેન વચ્ચે ‘વોર ટોક’

પશ્ચિમ એશિયામાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થયેલા યુદ્ધને હવે એક મહિનો પૂર્ણ થયો છે, પરંતુ હજુ પણ શાંતિના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પીએમ મોદીએ ડચ વડાપ્રધાન સાથે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતચીતની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, રોબ જેટેન સાથે વાત કરીને તેમને ઘણો આનંદ થયો છે. તેમણે સેમિકન્ડક્ટર ઉદ્યોગ, મેગા વોટર પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઈડ્રોજન અને પ્રતિભાઓના પરસ્પર આદાન-પ્રદાન જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં ભારત અને નેધરલેન્ડની ભાગીદારીની ઉજળી શક્યતાઓ વિશે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ખાસ નોંધ્યું હતું કે પશ્ચિમ એશિયામાં શાંતિની પુનઃસ્થાપના વૈશ્વિક સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે.

બીજી તરફ, નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટેને પણ આ વાતચીતને અત્યંત સકારાત્મક ગણાવી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષની શરૂઆતમાં યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે થયેલા મહત્વપૂર્ણ વેપાર કરાર બાદ નેધરલેન્ડ અને ભારત વચ્ચે સંરક્ષણ, નવીનતા અને જળ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી વધી રહી છે. જેટેને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પડકારોને જોતા ભારત સાથે સહયોગ વધારવાનો આ યોગ્ય સમય છે. તેમણે પીએમ મોદીને ટૂંક સમયમાં નેધરલેન્ડની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યું છે, જેથી આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રત્યક્ષ ચર્ચા કરીને પ્રગતિ કરી શકાય.