‘હેરા ફેરી 3’ ફિલ્મ કેમ છોડી ? પરેશ રાવલે આખરે જણાવ્યું કારણ

પીઢ અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં જ હિટ કોમેડી ફ્રેન્ચાઇઝ ‘હેરા ફેરી’ના ત્રીજા ભાગ ‘હેરા ફેરી 3’માંથી અચાનક બહાર નીકળવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. હેરા ફેરી 3 માંથી પરેશ રાવલની બહાર નીકળવાથી તેમના ચાહકો તેમજ તેમના સહ કલાકારો અને હેરા ફેરી 3 ની ટીમ નિરાશ થઈ ગઈ. પરેશ રાવલના આ નિર્ણય બાદ અક્ષય કુમારે અભિનેતા સામે કાનૂની કાર્યવાહી કરી છે. આવી સ્થિતિમાં, પરેશ રાવલે તાજેતરમાં ફિલ્મ સાથે જોડાયેલા કાનૂની મુદ્દાઓ વિશે ખુલીને વાત કરી છે.

પરેશ રાવલની પોસ્ટ

પરેશ રાવલે તેમના સત્તાવાર X હેન્ડલ પર શેર કર્યું કે તેમની કાનૂની ટીમે તેમના સહ-અભિનેતા અક્ષય કુમાર દ્વારા દાખલ કરાયેલા દાવાનો સત્તાવાર રીતે જવાબ આપ્યો છે. “મારા વકીલ અમિત નાઈકે મારી બરતરફી અને બહાર નીકળવા અંગે યોગ્ય જવાબ મોકલ્યો છે. એકવાર તેઓ મારો જવાબ વાંચશે પછી બધા મુદ્દાઓ ઉકેલાઈ જશે,” આવું પરેશે ટ્વિટ કર્યું.

IANS સાથે વાત કરતી વખતે, તેમના વકીલે અભિનેતાના હેરાફેરી 3 છોડવાનું કારણ જણાવ્યું. તેમની ટીમે કહ્યું, ‘તેમણે વાર્તા, પટકથા અને કરારનો લાંબો ડ્રાફ્ટ મોકલ્યો ન હતો, જે અમારા ક્લાયન્ટ માટે જરૂરી હતો.’ અભિનેતાના વકીલોએ એ પણ સ્પષ્ટતા કરી કે તેમના નિર્ણયનો પ્રિયદર્શન સાથે કોઈ સંબંધ નથી અને તેઓ હજુ પણ તેમનો ખૂબ આદર કરે છે. જ્યારે પરેશ રાવલ કહે છે કે તેમણે ફિલ્મ છોડવાનો નિર્ણય અચાનક નહોતો લીધો, પરંતુ તેમણે ઘણો વિચાર કર્યા પછી લીધો હતો.

સર્જનાત્મક મતભેદોને કારણે નિર્ણય લેવામાં આવ્યો નથી

ગયા અઠવાડિયે, પરેશ રાવલે તેમના એક્સ પર એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝીના બહુપ્રતિક્ષિત ત્રીજા ભાગમાંથી બહાર નીકળવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. એવી અટકળો હતી કે ફિલ્મના નિર્માતાઓ સાથે સર્જનાત્મક મતભેદોને કારણે અભિનેતાએ ફિલ્મ છોડી દીધી હતી. જે બાદ તેમણે સ્પષ્ટતા કરી કે સર્જનાત્મક મતભેદોને કારણે તેમણે આ નિર્ણય લીધો નથી. તેમણે હેરાફેરી 3 માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરતી એક ટ્વીટ પોસ્ટ કરી.

પરેશ રાવલ અને પ્રિયદર્શન વચ્ચે કોઈ સમસ્યા નથી

પોતાના ટ્વીટમાં પરેશ રાવલે લખ્યું,”હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે હેરા ફેરી 3 થી દૂર રહેવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું પુનરાવર્તિત કરું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી. મને ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શન માટે અપાર પ્રેમ, આદર અને વિશ્વાસ છે.”

તમને જણાવી દઈએ કે ‘હેરા ફેરી 3’ વર્ષ 2000 માં રિલીઝ થયેલી ‘હેરા ફેરી’ નો ત્રીજો ભાગ છે. આ કોમેડી ડ્રામા ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, તબ્બુ અને ગુલશન ગ્રોવર મુખ્ય ભૂમિકામાં છે. કામના મોરચે, 69 વર્ષીય અભિનેતા છેલ્લે રાજ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘જો તેરા હૈ વો મેરા હૈ’માં અમિત સિયાલ અને સોનાલી કુલકર્ણી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે તે પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બાંગ્લા’માં જોવા મળશે, જેમાં તેની સાથે વામિકા ગબ્બી, અક્ષય કુમાર અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં છે.