સીમાંકન બિલ પર વિપક્ષે વ્યક્ત કર્યો વિરોધ

નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મહિલા આરક્ષણ અધિનિયમ સંબંધિત ‘બંધારણ (131મો) સુધારો બિલ, 2026’ અને ‘સીમાંકન બિલ, 2026’ રજૂ કર્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહે ‘સંઘ રાજ્ય કાયદા (સુધારો) બિલ, 2026’ રજૂ કર્યું હતું. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને TMC દ્વારા આ બિલોનો વિરોધ કરવામાં આવ્યો હતો.

‘ભંધારણ (131મો) સુધારો બિલ, 2026’ રજૂ કરવાની પ્રસ્તાવના પક્ષમાં 251 મત અને વિરોધમાં 185 મત પડ્યા હતા. આ પહેલાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય વિરોધ પક્ષના નેતાઓએ આ બિલોને ‘ગેબંધારણીય’ ગણાવીને તેમના સમયને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા.કોંગ્રેસના કે.સી. વેણુગોપાલે ત્રણેય બિલોને ભારતના સંઘીય માળખા પર હુમલો ગણાવીને કહ્યું હતું કે આ સમયે બિલ લાવવાનો હેતુ શું છે? તેમણે કહ્યું હતું કે સંસદનાં બંને ગૃહોએ 2023માં જ મહિલા આરક્ષણ બિલ સર્વસંમતિથી પાસ કર્યું હતું, તો સરકારએ તે વખતે જ તેને અમલમાં કેમ ન લાવ્યું? વેણુગોપાલે સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે તમે 2029ની લોકસભા ચૂંટણીથી ડરી રહ્યા છો. તમે ગેરબંધાણીય બિલો લાવી રહ્યા છો. તેમને પાછા ખેંચવા જોઈએ.

મહિલા આરક્ષણને સીમાંકન સાથે ન જોડો – ગૌરવ ગોગોઇ

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ લોકસભામાં કહ્યું હતું કે અમારી પાર્ટી મહિલા આરક્ષણના પક્ષમાં છે. કૃપા કરીને આ કાયદાને સરળ બનાવો અને તેને સીમાંકન સાથે ન જોડો.

અમિત શાહે  કહ્યું,  ધર્મને આધારે આરક્ષણ ગેરબંધાણીય

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે દેશમાં જનગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં જાતિ આધારિત ગણતરી પણ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ધર્મને આધારે મુસ્લિમોને આરક્ષણ આપવું ગેરબંધારણીય છે. લોકસભામાં મહિલા આરક્ષણ અધિનિયમમાં સુધારો અને સીમાંકન સંબંધિત ત્રણ બિલ રજૂ કરતી વખતે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને ધર્મેન્દ્ર યાદવની ટિપ્પણીઓનો જવાબ આપતાં શાહે આ વાતો કહી હતી.