‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાનને ભારે નુકસાનઃ વોશિંગ્ટન પોસ્ટ

વોશિંગ્ટનઃ ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા છ એરફિલ્ડના રનવે અને ઇમારતોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ માહિતી વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ઉપલબ્ધ સેટેલાઇટ તસવીરો અને વિડિયો વિશ્લેષણ પરથી સામે આવી છે. વિશેષજ્ઞોના કહેવા મુજબ આ હુમલામાં બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલતા તણાવ દરમિયાન થયેલી સૌથી મોટી સૈન્ય કાર્યવાહી છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ 6 અને 7 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન પાકિસ્તાન તથા પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીર (PoJK)  વિસ્તારમાં આવેલા આતંકવાદી ઠેકાણાંઓને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

વોશિંગ્ટન પોસ્ટે 24થી વધુ સેટેલાઇટ તસવીરો અને હુમલા પછીના વિડિયોઝનું વિશ્લેષણ કર્યું હતું. આ હુમલામાં ત્રણ હેંગર, 2 રનવે અને વાયુસેનાની પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી બે મોબાઇલ ઇમારતોને ભારે નુકસાન થયું છે. આમાંનાં કેટલાંક ઠેકાણાં પાકિસ્તાનની અંદર લગભગ 100 માઇલ અથવા 160 કિમી સુધી હતાં. લંડન સ્થિત કિંગ્સ કોલેજના આંતરરાષ્ટ્રીય સંબંધો વિષયક વરિષ્ઠ લેકચરર અને દક્ષિણ એશિયા સુરક્ષા વિશેષજ્ઞ વૉલ્ટર લેડવિગે વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, “આ હુમલાઓ 1971ની યુદ્ધ પછીના ભારતીય હવાઈ દળના પાકિસ્તાની સૈન્ય માળખા પરના સૌથી મોટા હવાઈ હુમલા છે. કોન્ટેસ્ટેડ ગ્રાઉન્ડ પ્રોજેક્ટના ભૂસ્થાનિક વિશ્લેષક વિલિયમ ગુડહિન્ડે કહ્યું હતું કે ઉચ્ચ સ્તરના ઠેકાણાંઓ પર ચોકસાઇપૂર્વક હુમલા કરવામાં આવ્યા છે.

અલ્બાની યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને ભારત-પાકિસ્તાન પર પુસ્તકના લેખક ક્રિસ્ટોફર ક્લેરીએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે સેટેલાઇટ પુરાવા એ દાવા સાથે મેળ ખાતાં જણાય છે કે ભારતીય સેનાએ પાકિસ્તાની વાયુસેનાના અનેક ઠેકાણાંઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગુડહિન્ડે જણાવ્યું હતું કે રાવલપિંડીમાં આવેલ નૂર ખાન એરબેસ પર 2 મોબાઇલ કન્ટ્રોલ સેન્ટર નષ્ટ થઈ ગયાં હતાં.