નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સામૂહિક દુષ્કર્મના કિસ્સામાં જો કોઈ એક વ્યક્તિએ એક ઈરાદાથી ગુનો કર્યો હોય તો દરેક વ્યક્તિને તેના અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવશે. કોર્ટે ગેંગરેપના દોષિતોની સજાને યથાવત્ રાખી છે. ફરિયાદ પક્ષ માટે એ સાબિત કરવું જરૂરી નથી કે દરેક આરોપીએ દુષ્કર્મનું કૃત્ય કર્યું છે. ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) (g) હેઠળ સામૂહિક દુષ્કર્મના કેસમાં જો બધા પક્ષકારોએ સમાન ઇરાદાથી કૃત્ય કર્યું હોય તો તેમને દરેકને કૃત્ય માટે દોષિત ઠેરવી શકાય છે.
એક કેસમાં ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે તેમણે પીડિતાનું અપહરણ કર્યું હતું, તેને ગેરકાયદે રીતે બંધક બનાવી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અરજદારે દલીલ કરી હતી કે તેણે પોતે કોઈ જાતીય કૃત્ય કર્યું નથી, તેથી તેને ગેંગરેપનો દોષી ઠેરવી શકાય નહીં. જોકે પછી ટ્રાયલ કોર્ટ અને પછી હાઈકોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. આની વિરુદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે પણ આરોપીની અરજી ફગાવી દીધી હતી અને સજા યથાવત્ રાખી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિશ્વનાથને પોતાના લેખિત ચુકાદામાં જણાવ્યું હતું કે ઘટનાઓના ક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે પીડિતાનું અપહરણ, તેને ખોટી રીતે બંધક બનાવવી અને તેની સાથે દુષ્કર્મ થયો હોવાના તેના નિવેદન-.આ બધાં તથ્યો કલમ 376(2) (g) ના હેઠળ દોષી સાબિત કરે છે.
આ ઘટના જૂન 2004માં બની હતી, જ્યારે પીડિતા લગ્ન સમારંભમાંથી પરત ફરી રહી હતી. પછી તેનું અપહરણ કરીને તેને ઘણી જગ્યાએ રાખવામાં આવી. પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જાલંધર કોલ અને અપીલકર્તા રાજુ નામના બે વ્યક્તિઓએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ટ્રાયલ કોર્ટે બંને આરોપીઓને ગેંગરેપ, અપહરણ અને ગેરકાયદે રીતે બંધક બનાવવા બદલ દોષિત ઠેરવ્યા હતા.
રાજુને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને જાલંધર કોલને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો, જે જાલંધર કોલે સ્વીકારી લીધો, પરંતુ રાજુએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
