NDDB ચેરમેન ડૉ. મીનેશ શાહ વિઝનરી લીડરશિપ એવોર્ડ 2025થી સન્માનિત

આણંદ: 9 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીમાં એગ્રીકલ્ચર ટુડે ગ્રૂપ દ્વારા 16મા એગ્રીકલ્ચર લીડરશિપ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન ડૉ. મીનેશ શાહને વિઝનરી લીડરશિપ એવોર્ડ 2025થી સન્માનિત કર્યા હતા. ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહ દેવ, ઉત્તર પ્રદેશ સરકારના પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી ધર્મપાલ સિંહ તથા ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. સદાશિવમ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ડૉ. મીનેશ શાહને એનાયત કરવામાં આવેલો આ પુરસ્કાર ડેરી અને સંલગ્ન ક્ષેત્રોમાં તેમના અસાધારણ નેતૃત્વ અને પરિવર્તનકારી યોગદાનોનો એક પુરાવો છે. ખેડૂતો-કેન્દ્રિત અને ટેક્નોલોજી-આધારિત ઉકેલોને આગળ વધારવાની તેમની અડગ કટિબદ્ધતાએ ગ્રામ્ય વિસ્તારોમાં આજીવિકાને વધારવામાં અને ભારતના કૃષિ અર્થતંત્રના વિકાસનો માર્ગ મોકળો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કૃષિના વિકાસને પ્રોત્સાહન આપવાની અને ગ્રામ્ય વિસ્તારોની સમૃદ્ધિને વેગ આપવાની ડૉ. મીનેશ શાહની નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે.ડૉ. મીનેશ શાહ જણાવ્યું હતું કે, ‘આ સન્માન પ્રાપ્ત થવાથી અમારા ખેડૂતોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે નિરંતર કામ કરવાની મારામાં વધુ મોટી જવાબદારીની ભાવના જાગૃત થઈ છે. હું આ પુરસ્કાર તમામ ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ અને NDDB તેમજ તેની આનુષંગિક સંસ્થાઓમાં કાર્યરત મારા સાથીદારોને સમર્પિત કરું છું, આ સન્માન જેટલું મારું છે તેટલું જ તમારું પણ છે.’