દિલ્હી મેટ્રો સ્ટેશન પર મૃત્યુ પામેલી મહિલાનાં સ્વજનોને રૂ.15 લાખનું વળતર

નવી દિલ્હીઃ અહીંના એક મેટ્રો સ્ટેશન ખાતે બનેલા એક અકસ્માતમાં મૃત્યુ પામેલી એક મહિલા પ્રવાસીનાં નિકટનાં સ્વજનને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) કંપની વળતર રૂપે રૂ. 15 લાખ ચૂકવશે. તે બનાવ ગઈ 14 ડિસેમ્બરે ઈન્દરલોક મેટ્રો સ્ટેશન ખાતે બન્યો હતો. મહિલા પેસેન્જરની સાડી ટ્રેનના દરવાજામાં ફસાઈ ગઈ હતી. એને કારણે તે ઘણા કિલોમીટર સુધી ઘસડાઈ હતી. એને ઈજા થઈ હતી અને તેને લીધે ગયા શનિવારે એનું મૃત્યુ નિપજ્યું હતું.

મેટ્રો રેલવે સેફ્ટી વિભાગના કમિશનરે તે બનાવમાં તપાસનો આદેશ આપ્યો છે. મૃતક મહિલાનાં બે સંતાન છે અને તે બંને સગીર વયનાં છે. એમને રૂ. 15 લાખનું વળતર આપવામાં આવશે. તેમજ એ બંનેનાં શિક્ષણનો ખર્ચ પણ ડીએમઆરસી ઉઠાવશે.