સરકાર કાયદા રોકશે કે અમે પગલાં લઈએ? : સુપ્રીમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલનથી સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે આંદોલનમાં ખેડૂતોના જીવ જઈ રહ્યા છે. સરકાર આ કાયદાને અટકાવશે કે પછી કોર્ટ આદેશ જારી કરે. ચીફ જસ્ટિસે સરકાર પર નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે સરકાર આ મુદ્દે સમાધાન કરવાના પ્રયાસો કરી રહી છે, પણ એનાથી અમે ખુશ નથી. અમને માલૂમ નથી કે તમે કાયદો પસાર કરતાં પહેલાં શું કર્યું?

ચીફ જસ્ટિસે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે સરકારની એ દલીલ નહીં ચાલે કે આ કોઈ સરકારે શરૂ કર્યું છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે 41 ખેડૂત સંગઠન કાયદા પરત કરવાની માગ કરી રહ્યા છે, નહીં તો આંદોલન જારી રાખવાનું કહી રહ્યાં છે. કોર્ટે કહ્યું હતું કે અમે નિષ્ણાતોની સમિતિ બનાવીશું. ત્યાં સુધી સરકાર આ કાયદાઓને અટકાવે, નહીં તો અમે પગલાં લઈશું. તેમણે કહ્યું હતું કે અમે કાયદા પરત લેવાની વાત નથી કરી રહ્યા ,પણ તમે આ મુદ્દો કેવી રીતે સંભાળશો. અમે એટલું ઇચ્છીએ છીએ કે સરકાર આ મામલે વાતચીત દ્વારા હલ કરો.

તેમણે કહ્યું હતું કે સિનિયર સિટિઝનો અને મહિલાઓ પ્રદર્શનનો હિસ્સો છે. છેવટે આ બધું શું થઈ રહ્યું છે. અત્યાર સુધી એક પણ અરજી દાખલ નથી થઈ, જે કહે કે આ કૃષિ કાયદા સારા છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાઓને કેટલોક સમય અમલ ના કરવાનું સૂચન કર્યું હતું. ખેડૂતો આ કૃષિ કાયદાઓ રદ કરવાની જીદ કરી રહ્યા છે. 15 જાન્યુઆરીએ ખેડૂત સંગઠનો અને સરકારની વચ્ચે નવમા દોરની બેઠક યોજાશે.