વસંત પંચમી: વિદ્યાની દેવી સરસ્વતીજીની પ્રાર્થનાનો દિવસ

વસંત પંચમીએ સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો તહેવાર- મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. હિન્દુઓનો શુભ તહેવાર છે. દક્ષિણમાં એને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસ જ્ઞાન અને સ્વરની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું માહાત્મ્ય છે. સરસ્વતી બ્રહ્માનાં પત્ની છે.

સરસ્વતીના ઉપાસકો માને છે કે સરસ્વતી વિના વિશ્વ અજ્ઞાનતામાં ડૂબી જશે, કેમ કે તે આત્મજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે સરસિયાના પાકના પીળાં ફૂળો સાથે કૃષિ ક્ષેત્રે સરસ્વતીની પૂજા કરવામાં આવ  છે. પીળો અથવા વાસંતી સરસ્વતીનો પસંદગીનો રંગ માનવામાં આવે છે અને બધા ઉત્સવોમાં એ સજાવટ અથવા પોશાકમાં પીળા રંગ છવાયેલો રહે છે. વસંત પંચમીને લગ્નનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

આ વર્ષે વસંત પંચમી 16 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવશે. પંચમી તિથિ 16 ફેબ્રુઆરીએ સવારે 3.36 કલાકે શરૂ થશે અને 17 ફેબ્રુઆરીએ સવારે 5.46 કલાક સુધી જારી રહેશે. વસંત પંચમીના આ અવસરે ઉત્તમ યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ અને રવિ યોગનો બની રહ્યો છે. આ વર્ષે વસંત પંચમીનું મુહૂર્ત 16 ફેબ્રુઆરીએ સવારે 6.59 કલાકથી બપોરે 12.35 કલાક સુધી રહેશે.

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરતી વખતે તેમને પીળા પુષ્પ, પીળા રંગની મિઠાઇ અર્પણ કરવી જોઇએ. માતા સરસ્વતીને કેસર અથવા પીળા ચંદનનું તિલક કરવું જોઇએ તેમજ તેમને પીળા રંગના વસ્ત્ર ભેટ કરવા જોઇએ. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમને માલપુઆ અને ખીરનો ભોગ ધરાવવાનું પણ માહત્મ્ય છે.