ઉન્નાવ રેપ કેસમાં ભાજપના કુલદીપ સેંગર દોષિત, શશી સિંહ મુક્ત

નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસ મામલે તીસ હજારી કોર્ટે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે પીડિતા નાબાલિગ હોવાનું માન્યું છે જેથી સેંગરની મુશ્કેલી વધી શકે છે, કારણ કે, નાબાલિગના કેસમાં સખ્ત સજાની જોગવાઈ છે. જો કે, સેંગરની મહિલા સહયોગી શશી સિંહને કોર્ટે શંકાનો લાભ આપી મુક્ત કરી છે.

દિલ્હીની તીસ હજારી કોર્ટના સેશન જજ ધર્મેશ શર્માએ સેંગરને દોષિત ઠેરવ્યા બાદ હવે 18 ડિસેમ્બરે તેને સજા સંભળાવવામાં આવશે. સુપ્રીમના આદેશ પર આ કેસની રોજેરોજ સુનાવણી કરવામાં આવી રહી હતી.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ આ કેસને લખનૌથી દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સેંગર પર પોક્સો ઉપરાંત, અપહરણ તેમજ બળાત્કારની કલમો પણ લગાવવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય પર 4 જૂન 2017ના રોજ નોકરીની લાલચ આપીને 16 વર્ષની કિશોરીનો રેપ કરવાનો આરોપ હતો. આ ઉપરાંત સેંગરે પીડિતાના પરિજનોને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી. આ કેસ ઉન્નાવ કાંડ તરીકે પણ જાણીતો બન્યો હતો.

આ સમગ્ર ઘટના ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે પીડિતા અને તેની માતાએ સીએમ યોગી આદિત્યનાથના ઘરની બહાર આત્મદાહનો પ્રયત્ન કર્યો હતો.. પીડિતાના પિતા વિરુદ્ધ 3 એપ્રિલ 2018ના રોજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, અને પોલીસ કસ્ટડીમાં જ તેમને ખૂબ જ માર મારવામાં આવતા તેમનું મોત થયું હતુ.

28 જુલાઈના રોજ કાકાને મળીને પીડિતા પાછી આવી રહી હતી ત્યારે રાયબરેલીમાં પીડિતા, તેની કાકી, માસી અને વકીલની કારને એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. જેમાં કાકી અને માસીનું મોત થયુ હતું, જ્યારે પીડિતા અને વકીલ ઘાયલ થઈ ગયા હતા. સુપ્રીમના આદેશ પર લખનૌથી દિલ્હી લાવીને તેની સારવાર ચાલુ કરાવાઈ હતી. હાલ પીડિતા પરિવાર સાથે દિલ્હી જ રહે છે કારણકે તેના પરિવારે ઉન્નાવ પાછા જવાનો ઈનકાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, સેશન જજ ધર્મેશ શર્મા 5 ઓગસ્ટથી દરરોજ આ કેસની સુનાવણી કરી રહ્યા છે.  તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગરને કલમ 120 B (ગુનાહિત કાવતરું), 363 (અપહરણ), 366 (સ્ત્રીનું અપહરણ અથવા લગ્ન માટે દબાણ કરવા માટે ત્રાસ આપવો), 376 (બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો) અને POCSO અંતર્ગત દોષીત જાહેર કર્યા હતાં.