કોંગ્રેસ પાર્ટીને ઝટકોઃ EDએ AJLની રૂ. 16.38 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને સોનિયા ગાંધી પર નવી આફત આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની પ્રકાશન સંસ્થા એસોસિયેટડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને પાર્ટીના નેતા મોતી લાલ વોરાની રૂ. 16.38 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. એક મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

EDએ કહ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિ મુંબઈમાં નવ માળનું બિલ્ડિંગ છે,એમાં બે બેઝમેન્ટ પણ છે અને 15,000 સ્કવેર મીટરમાં છે. એની કુલ કિંમત રૂ. 120 કરોડની છે. એમાંથી રૂ. 16.38 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ બિલ્ડિંગ બાંદરા-ઇસ્ટમાં EPF ઓફિસ, કલાનગરની પાસે પ્લોટ નંબર બે અને સર્વે નંબર 341 પર છે.

ચાર્જશીટમાં પણ વોરા અને હુડ્ડાનું નામ

EDએ પાછલા વર્ષે મોતીલાલ વોરા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. પંચકુલાના ક્ષેત્ર-છમાં પ્લોટ નંબર C-17ની ખરીદી, કબજાથી જોડાયેલી પ્રક્રિયામાં સીધા સામેલ હોવાને કારણે એમનાં નામ ચાર્જશીટમાં છે. આ તપાસમાં માલૂમ પડ્યું છે કે પ્લોટને AJLને વર્ષ 1982માં ફાળવવામાં આવ્યો હતો. એસ્ટેટ અધિકારીને હુડાએ 30 ઓક્ટોબર, 1992ને પાછો બોલાવ્યો હતો, કેમ કે એણે AJLને ઓફર લેટરની શરતો ફોલો નહોતી કરી.

1996માં પુનર્વિચાર અરજીને ફગાવ્યા પછી પુર્નગ્રહણ આદેશ આપવામાં આવ્યો હતો. હુડ્ડા પર આરોપ છે કે તેમણે તેમના પાવરનો ઉપયોગ કરીને પ્લોટને ફરી ફાળવવાની આડમાં નવેસરથી AJLને ફાળવ્યો હતો. વળી, આની કિંમત એ જ જૂની રાખવામાં આવી. આ આદેશ 28 ઓગસ્ટ, 2008એ આપ્યો હતો. EDએ CBIને આધારે FIRને આધારે 2016માં ફરિયાદ દાખલ કરી હતી.

ગાંધી પરિવારનો AJL પર કન્ટ્રોલ

મોતીલાલ વોરા AJLના મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપની પર ગાંધી પરિવારનો કન્ટ્રોલ છે. AJL જ નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર ચલાવે છે. આ ન્યૂઝપેપરને 1939માં જવાહરલાલ નેહરુએ શરૂ કર્યું હતું. 1956માં AJL એક કંપની બની. વર્ષ 2008માં એનાં બધાં પબ્લિકેશન્સ બંધ કરી દીધાં. ત્યારે કંપની પર 90 કરોડનું દેવું હતું. કોંગ્રેસે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની બનાવી. એના ડિરેક્ટર્સમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, સેમ પિત્રોડા, ઓસ્કર ફર્નાન્ડિઝ અને સુમન દુબેનાં નામ સામેલ છે. આમાં સોનિયા-રાહુલની પાસે 76 ટકા  હિસ્સો છે.