સુપ્રીમ કોર્ટ દેશદ્રોહના કાયદા પર પાંચ મેએ સુનાવણી કરશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ IPCની કલમ 124 A હેઠળ દેશદ્રોહના ગુનાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર પાંચ અને છઠ્ઠી મેએ અંતિમ સુનાવણી હાથ ધરશે. CJI એન. વી. રમન્નાની અધ્યક્ષતામાં બનેલી ત્રણ સભ્યોની બેન્ચે આ મામલાથી જોડાયેલી બધી અરજીઓની એકસાથે સુનાવણી માટે પાંચ મેની તારીખ નક્કી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે દેશદ્રોહ કાયદા મામલે જવાબ તૈયાર છે, પણ એમાં કેટલાક સુધારાવધારા કરવાના હોવાથી તેમણે કોર્ટ પાસે બે દિવસનો સમય માગ્યો હતો.

એપેક્સ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે સોલિસિટર જનરલે જવાબ આપવા બે દિવસનો સમય માગ્યો છે, પણ અમે કેન્દ્રને આ સપ્તાહના અંત સુધીમાં જવાબ આપવા નિર્દેશ આપીએ છીએ. વળી, CJIએ આ મામલે સુનાવણીમાં કોઈ પમ એડજર્નમેન્ટ આપવાથી ઇનકાર કરતાં કહ્યું હતું કે કોર્ટ આ મામલે આખા દિવસ દરમ્યાન સુનાવણી હાથ ધરશે.

જોકે CJi રમન્નાએ સવાલ કર્યો હતો કે શું આ કાયદો સ્વતંત્રતાનાં 75 વર્ષ પછી પણ અસ્તિત્વમાં છે. તેમણે AGને પ્રશ્ન પૂછ્યો હતો કે અમને ચિંતા આ કાયદાના દુરુપયોગની છે અને એકાઉન્ટિબિલિટીમાં થયેલા ઘટાડાની છે. આપણે સ્વતંત્રતા થયા એના 75 વર્ષ પછી પણ આ કાયદો પુસ્તકમાં છે?

તેમણે કહ્યું હતું કે લોકો તેમના મનની વાત કહેવા અથવા અધિકારીઓનાં કામકાજની સામે દેશદ્રોહ કાયદો લાગુ થવાનો ડર અનુભવી રહ્યા છે. આ કાયદાના વ્યાપક દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે વાસ્તવિક સ્થિતિ ગંભીર છે.