પાંચ મહિનામાં સૌથી ઓછા નવા કોરોનાના કેસો નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસોમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 28,204 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 373 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,19,98,158 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,28,682 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,11,80,968 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,511 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,88,508એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.45 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,11,313 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 47.98 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ભારતમાં રહી રહેલા વિદેશી નાગરિકોને કોરોના સંક્રમણથી સુરક્ષાની ખાતરી કરવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે નિર્ણય લીધો છે કે હવે વિદેશી નાગરિકો પણ ભારતમાં કોરોનાની રસી લગાવી શકશે. તેમને CoWin પોર્ટલ પર રજિસ્ટ્રેશનની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાં 51.45 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 51,45,00,268 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 54,91,647 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.