યસ બેન્ક કટોકટીઃ નાણા મંત્રાલય અને PMO રાખી રહ્યા છે નજર

નવી દિલ્હીઃ યસ બેન્ક દેશના ખાનગી ક્ષેત્રની પાંચમી મોટી ધિરાણકર્તા બેન્ક છે. યસ બેન્કમાં હાલ નાણાકીય કટોકટી સર્જાઈ છે, જેથી રિઝર્વ બેન્કે તેનાં કામકાજ પર નિયંત્રણો મૂકી દીધાં છે, રિઝર્વ બેન્કે તેના બોર્ડને પણ સુપરસીડ કર્યું છે અને ગ્રાહકોને તેમના ખાતામાંથી એક મહિનામાં રૂ. 50,000ની ઉપાડમર્યાદા પણ મૂકી છે. જોકે રિઝર્વ બેન્ક યસ બેન્કને બચાવવા માટે રેસ્ક્યુ યોજના પણ બનાવી રહી છે.

 

બેન્ક એક વર્ષથી નવી મૂડી ઊભી કરવા અસમર્થ

યસ બેન્ક છેલ્લા ઘણા લાંબા સમયથી મૂડી ઊભી કરવા અસમર્થ રહી છે. જેને લીધે બેન્કની નાણાકીય સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી ગઈ હતી. વળી તાજેતરનાં વર્ષોમાં બેન્કને ગંભીર ગવર્નન્સ ઇસ્યુ પણ ઊભા થતા હતા.

યસ બેન્ક મૂડી ઊભી કરવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે બેન્ક માળખાકીય જરૂરિયાત પૂરી કરવા માટે ઉચ્ચ સ્તરીય બેડ લોનોથી ઝઝૂમતી હતી. બેન્ક છેલ્લા એક વર્ષથી બે કરોડ ડોલરની નવી મૂડી ઊભી કરવા માટે પ્રયત્ન કરી રહી હતી અને બેન્કે ડિસેમ્બર ત્રિમાસિક ગાળાનાં પરિણામો પણ ફેબ્રુઆરીમાં મોડેથી જાહેર કર્યાં હતા. એક અહેવાલ પ્રમાણે બેન્ક 2018ના અંતમાં યસ બેન્કના લેન્ડર્સ અને ડેવલપર્સ –બંને ફન્ડિંગનો સામનો કરી રહ્યા હતા.

પી. ચિંદબરમે ઉઠાવ્યા સવાલ

યસ બેન્કના ખાતાધારકો માટે રિઝર્વ બેન્કે પૈસા કાઢવા પર મર્યાદા મૂકી દીધી છે. જેથી રિઝર્વ બેન્કના આ નિર્ણયથી લોકોની ATMની બહાર લાંબી લાઇનો લાગી ગઈ છે. હાત તો હાલત એવી છે કે હવે ATMમાં પણ કેશ ખતમ થવા લાગી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમે કહ્યું હતું કે આ સંપૂર્ણ રીતે રિઝર્વ બેન્કની નિષ્ફળતા છે. મને આશ્ચર્ય છે કે સરકાર બિલકુલ ચૂપ કેમ છે? હવે જોઈએ કે યસ બેન્કના જમાકર્તા શું કરે છે? મને લાગે છે કે PMC બેન્કના જમાકર્તાની જેમ ચિંતિત છે. જોઈએ હવે આગળ શું થાય છે.

રિઝર્વ બેન્કે CFO પ્રશાંત કુમારને નિયુક્ત કર્યા

રિઝર્વ બેન્કે કહ્યું હતું તો બેન્કના મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે અને બેન્કની બેલેન્સશીટ અને રોકડ તરલતા કઈ રીકે હળવી બને એ માટે પ્રયાસ કરી રહી છે. રિઝર્વ બેન્કે યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરવા સાથે મેનેજમેન્ટને ટેકઓવર કર્યું છે. બેન્કે SBIના ભૂતપૂર્વ CFO પ્રશાત કુમારને એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરી છે.

નાણાં મંત્રાલય અને PMOની નજર

પ્રાપ્ત માહિતી અનુસાર યસ બેન્કની સર્જાયેલી નાણાકીય કટોકટી પર નાણાં મંત્રાલયની નજર છે. આ મામલે વડા પ્રધાન કાર્યાલયને પણ સતત માહિતી આપવામાં આવી હતી. રિઝર્વ બેન્ક પણ નાણા મંત્રાલય સાથે સંપર્કમાં છે.

ગ્રાહકોએ ગભરાવાની જરૂર નહીઃ RBI

રિઝર્વ બેન્ક એ નિષ્કર્ષ પર પહોંચી છે કે પુનરુદ્ધારની યોજનાનો અભાવ, જાહેર હિત અને બેન્કના ડિપોઝિટર્સના હિતને ધ્યાનમાં રાખીને બેન્ક પાસે નિયંત્રણો મૂકવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જોકે યસ બેન્કના ડિપોઝિટર્સને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમનાં હિતોને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે, માટે તેમણે ગભરાવાની જરૂર નથી.