સેનાએ ઘૂસણખોરીના પ્રયાસ કરતા બે આતંકવાદીઓને ઠાર કર્યા

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં સેનાએ બે આતંકવાદીઓને થયેલી અથડામણમાં ઠાર કર્યા હતા.   સેનાએ જણાવ્યું હતું કે ઓપરેશન ગૂગલધરમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી યુદ્ધસામગ્રી મળી આવી છે. હાલ આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે અને ઓપરેશન ચાલુ છે.

સેનાએ કહ્યું હતું કે સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને આતંકવાદીઓને પડકાર્યા હતા. ત્યાર બાદ ગોળીબાર થયો હતો. ચોથી ઓક્ટોબરે ઘૂસણખોરીની ગુપ્ત બાતમીને આધારે સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાએ આતંકવાદીઓને પડકાર ફેંકતાં જ ગોળીબાર શરૂ થયો હતો અને સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. હાલ પણ અભિયાન ચાલી રહ્યું છે.

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ કરી રહી છે. શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં એલઓસી નજીક થયેલા વિસ્ફોટમાં સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીર જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં એલઓસી પર ગુગલધરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે થયેલા વિસ્ફોટમાં સેનાના બે સૈનિકો ઘાયલ થયા હતા. બંને સૈનિકોને ડ્રગમુલ્લા સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.