ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન; નાગાલેન્ડ, મેઘાલયમાં 27-ફેબ્રુઆરીએ

નવી દિલ્હીઃ ઈશાન ભારતના ત્રણ રાજ્યો – ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં નવી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળના ચૂંટણી પંચ તરફથી જાણકારી આપવામાં આવી છે કે ત્રિપુરામાં આવતી 16 ફેબ્રુઆરીએ અને નાગાલેન્ડ તથા મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ત્રણેય રાજ્યોમાં મતગણતરી અને પરિણામ માટે 2 માર્ચ તારીખ નક્કી કરાઈ છે.

નાગાલેન્ડ વિધાનસભાની મુદત 12 માર્ચ, મેઘાલયની 15 માર્ચ અને ત્રિપુરાની 22 માર્ચે પૂરી થાય છે. તેથી એ પહેલાં ત્રણેય રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન-પરિણામ સહિતની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ત્રણેય રાજ્યમાં 60-60 બેઠકોની વિધાનસભાઓ છે.

ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જ્યારે નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)ની સરકાર છે. મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ની સરકાર છે.