રામમંદિર: શિલાન્યાસની તારીખ નક્કી, મોદીની હાજરીને લઈને સસ્પેન્સ

અયોધ્યા: કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણનો હવે સમય નજીક આવી ગયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. ટ્રસ્ટે મંદિરના શિલાન્યાસ માટે 3 અને 5 ઓગસ્ટની તારીખ નક્કી કરી આ પ્રસ્તાવ પીએમઓને મોકલી દીધો છે. હવે આના પર અંતિમ નિર્ણય પીએમઓ કરશે. આ સાથે જ રામમંદિરના નકશામાં ફેરફાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં પીએમની હાજરીને લઈને હજું સુધી સત્તાવાર કોઈ માહિતી મળી નથી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામમંદિરનું નિર્માણ કામ પણ શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરા જ કરશે. સોમનાથ મંદિરનું નિર્માણકામ પણ સોમપુરાએ જ કર્યું છે. મંદિર બનાવવામાં પૈસાની કોઈ કમી નહીં રહે. મંદિર માટે 10 કરોડ પરિવાર દાન આપશે.

આ બેઠકમાં મંદિરની ડિઝાઈનને લઈને પણ ચર્ચા થઈ હતી. રામ મંદિરની ઉંચાઈ 161 ફૂટ હશે. બેઠક પૂર્ણ થયા બાદ તમામ સભ્યો સર્કિટ હાઉસથી સીધા રામલલ્લાના દર્શન માટે રવાના થયા હતા.