રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી

પ્રયાગરાજ: મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. મોટા નેતા સેલેબ્રિટી સહિતના લોકો અમૃત સ્નાન માટે ત્રિવેણી સંગમ પહોંચી રહ્યા છે. આજે રાષ્ટ્રપિત દ્રૌપદી મુર્મૂ પણ મહાકુંભ પહોંચ્યા હતા. તેમણે આજે 10મી ફેબ્રુઆરીના આસ્થાની ડૂબકી લગાવી હતી. આ સમયે તેમણી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાકુંભનો આજે 29મો દિવસ છે. આજે માતા ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આસ્થાની ડૂબકી લગાવીને સનાતન આસ્થાને મજબૂત પાયો આપ્યો. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અક્ષયવટની મુલાકાત લેશે અને પૂજા, અર્ચના કરશે. જણાવી દઈએ કે, 13મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 43.57 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 63 લાખ લોકોએ સ્નાન કર્યું છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમૃત સ્નાનનો આનંદ માળ્યો હતો અને ત્રિવેણી સંગમની અમૃત સ્નાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ પ્રયાગરાજમાં ભારે ભીડ છે. જેને ધ્યાનમાં રાખીને, અરૈલ ઘાટથી સંગમ સુધીની બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સંગમ સ્ટેશન 14મી ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવ્યું છે. પ્રયાગરાજ જંકશન પર ભીડનું સંચાલન કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવામાં આવી છે.