પતંજલિ દંતમંજનમાં નોનવેજ મટીરિયલ હોવાનો દાવોઃ હાઇકોર્ટની નોટિસ

નવી દિલ્હીઃ બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. દિલ્હી હાઇકોર્ટમાં પતંજલિની પ્રોડક્ટ દિવ્ય દંત મંજનને લઈને એક અરજી દાખલ કરવામાં આવી છે, એમાં પ્રોડક્ટમાં નોનવેજ મટીરિયલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાઇ કોર્ટ દ્વારા એ ફરિયાદને ધ્યાનમાં રાખીને નોટિસ જાહેર કરવામાં આવી છે.

જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચ દ્વારા પતંજલિ, દિવ્ય ફાર્મસી, બાબા રામદેવ, કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલવામાં આવી છે. આ વિશેની હિયરિગ નવેમ્બરમાં કરવામાં આવશે.

આ ફરિયાદ વકીલ યતિન શર્માએ દાખલ કરી છે. તેમણે કહ્યું હતું કે દિવ્ય દંતમંજનના પેકેટ પર ગ્રીન ડોટ દેખાડવામાં આવી રહ્યું છે. ગ્રીન ડોટનો મતલબ વેજિટેરિયન છે, પરંતુ આ દંતમંજનમાં માછલીના અંશો મળી આવ્યા છે. આ અવશેષ નોન-વેજની કેટેગરીમાં આવે છે. આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કાયદા મુજબ દવાને વેજ અથવા તો નોન-વેજની કેટેગરીમાં રાખવાની જરૂર નથી. જોકે આ દંતમંજન પર ગ્રીન ડોટ છે, જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ ખોટી રીતે બ્રેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફરિયાદ કરનાર અને તેની ફેમિલીની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. ધર્મમાં માનતા હોવાથી તેઓ ફક્ત વેજિટેરિયન વસ્તુનો જ ઉપયોગ કરે છે. જોકે તેમને જ્યારે ખબર પડી કે આ દંતમંજનમાં માછલીના અંશ મળી આવ્યા છે તો તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. માછલીમાં આવતાં એક અંશનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં દંતમંજનને લાયસન્સ આપનાર કર્મચારીઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે જ એમાં જે અધિકારીની ભૂલ હોય એને દંડ કરવાની પણ માગ કરવામાં આવી છે. આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પતંજલિની સત્તાવાર વેબસાઇડ પર પણ આ દંતમંજનને વેજિટેરિયન કહેવામાં આવ્યું છે.