15 ઓગસ્ટે આતિશી ઝંડો નહીં ફરકાવી શકેઃ પ્રસ્તાવ ફગાવાયો

નવી દિલ્હીઃ દિલ્હીના CM કેજરીવાલનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે મંત્રી આતિશી દ્વારા 15 ઓગસ્ટે ઝંડો ફરકાવવામાં આવે. વાસ્તવમાં GDA દ્વારા CM કેજરીવાલના પ્રસ્તાવને મંજૂરી નથી આપવામાં આવી.

થોડા દિવસો પહેલાં જેલમાંથી CM કેજરીવાલે એક પત્ર જારી કર્યો હતો, જેમાં લખ્યું હતું કે આતિશીને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવામાં દેવામાં આવે. એવું કહેવામાં આવે છે કે CM કેજરીવાલ નથી ઇચ્છતા કે તેમની ગેરહાજરીમાં LG વીકે સકસેના ધ્વજારોહણ કરે. આવામાં તેમણે એ જવાબદારી પોતાની સરકારના એક મંત્રીને આપી હતી, પણ તેમને મોટો આંચકો લાગ્યો છે, કેમ કે તેમની માગ ફગાવી દેવામાં આવી છે.

દિલ્હી સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD)એ કેજરીવાલના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં નિયમોનો હવાલો આપીને પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં સ્વતંત્રતા દિવસે પ્રતિ વર્ષ દિલ્હી સરકાર છત્રસાલ સ્ટેડિયમમાં કાર્યક્રમ આયોજિત કરે છે, જેમાં CM ઝંડો ફરકાવે છે, પણ આ વખતે CM કેજરીવાલ જેલમાં છે, એટલે તેમણે કેબિનેટ મંત્રી આતિશીને ઝંડો ફરકાવવા માટે અધિકૃત કરી હતી.

ડેપ્યુટી CM મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવ્યા પછી એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે મનીષ સિસોદિયા હવે 15 ઓગસ્ટે ઝંડો ફરકાવશે. જોકે CM કેજરીવાલે પહેલેથી જ આતિશીનું નામ જાહેર કર્યું હતું.

જોકે નિયમોનો હવાલો આપીને કેજરીવાલની માગ ફગાવવામાં આવી છે. અત્યાર સુધી પાર્ટીએ કોઈ પ્રતિક્રિયા નથી આપી, પણ આ મુદ્દે વિવાદ થાય એવી શક્યતા છે.