કોરોના સંક્રમિતોની સંખ્યા 55 લાખને પારઃ નિડલ વગરની કોરોના વેક્સિન તૈયાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 55 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 75,083 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1053 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 20 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 55,62,663 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 88,935 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 44,97,867 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,75,861 પહોંચી છે. રિકવરી રેટ વધીને 80 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.60 ટકા થયો છે.

નિડલ વગરની કોરોના વેક્સિન તૈયાર

વિશ્વમાં કોરોના વાયરસે  હાહાકાર મચાવ્ચો છે. અનેક લોકો કોરોનાની મહામારીમાં ભયંકર રીતે સપડાયા છે. અનેક કંપનીઓ વેક્સિન બનાવવામાં પણ લાગી ગઈ છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાંથી પણ કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ હવે નીડલ (સોય) વગરની કોરોના વેક્સિન તૈયાર કરી છે. હવે આ વેક્સિનનો ટ્રાયલ શરૂ થશે. આ વેક્સિન ડીએનએ ઉપર આધારિત છે. આ વેક્સીનના ટ્રાયલ માટે 150 લોકો પોતોના નામ મોકલી ચૂક્યા છે.

સિડની યુનિવર્સિટીના એક્સપર્ટ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીનને એક એર જેટ મશીન થકી વ્યક્તિની સ્કીનમાં નાખવામાં આવશે. આ ડિવાઈસને ફાર્મોજેટ નામથી ઓળખવામાં આવે છે. ડોક્ટર ગિન્ની મેન્સબર્ગના જણાવ્યા પ્રમાણે ઈન્જેક્શનની તુલનાએ ફાર્માજેટ થકી આપવામાં આવેલી વેક્સિન વધારે અસરકારક થઈ શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.