સીબીએસઈ-બોર્ડ પરીક્ષા 2021ના માર્ચમાં યોજવી ફરજિયાત નથી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે કહ્યું છે કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને આવતા વર્ષે સીબીએસઈ બોર્ડ પરીક્ષા આપવાની તૈયારી કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે.

નિશાંકે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાઓ આવતા વર્ષના માર્ચમાં જ યોજવાનું ફરજિયાત નહીં હોય.

ઉલ્લેખનીય છે કે દેશભરના અનેક માતા-પિતા કે વાલીઓએ સિનિયર સેકન્ડરી બોર્ડને વિનંતી કરી છે કે આ વર્ષ કોરોના વાઈરસ રોગચાળાને કારણે બગડી ગયું હોવાથી 2021ના વર્ષ માટેની બોર્ડ પરીક્ષાઓ મે મહિનામાં યોજવી જોઈએ. તેથી નિશાંકે કહ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવા માટે તૈયારી કરવા પૂરતો સમય અપાશે. સીબીએસઈ બોર્ડમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ અને કોઈ પણ એન્ટ્રન્સ પરીક્ષાની તારીખો ટકરાય નહીં એનું ધ્યાન રખાશે.