મોદીએ કરી નવા સંસદભવન માટે શિલારોપણ વિધિ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં સંસદભવન સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવા સંસદભવન બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું અને ત્યારબાદ શુભ મુહૂર્તમાં શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી.

ટાટા ગ્રુપની ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ નવું સંસદભવન બાંધશે. આ ભવન રૂ. 971 કરોડના ખર્ચે અને 64,500 સ્ક્વેર મીટર ક્ષેત્રફળમાં બાંધવામાં આવશે. તે સુરક્ષાને લગતી અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.આ શુભ અને ઐતિહાસિક પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા અન્ય કેન્દ્રીય પ્રધાનો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સંસદસભ્યો તથા અનેક દેશોના રાજદૂતો, ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટા ઉપસ્થિત રહ્યાં હતાં.પીએમ મોદીએ બાદમાં સંબોધનમાં કહ્યું હતું કે દેશ જ્યારે તેનો 75મો આઝાદીદિવસ ઉજવશે ત્યારે એ પર્વની સાક્ષાત પ્રેરણાસમાન આપણી સંસદની નવી ઈમારત બનીને તૈયાર થઈ ગઈ હશે.