રામમંદિર ભૂમિપૂજનઃ માત્ર યોગીને આમંત્રણ; બીજા કોઈ CMને નહીં

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે માત્ર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, બાકીના કોઈ રાજ્યના મુખ્ય પ્રધાનને નિમંત્રણ નથી આપવામાં આવ્યું. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 200 મહેમાનોની યાદી તૈયાર કરી છે. આમાં યોગી આદિત્યનાથનું સામેલ છે. ટ્રસ્ટે યોગી સિવાય કોઈ પણ મુખ્ય પ્રધાનને ન બોલાવવાનો નિર્ણય કર્યો છે. એ નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ મુખ્ય પ્રધાનને બોલાવાય તો બધાને નિમંત્રણ મોકલવું પડશે.

ઉદ્ધવ ઠાકરેની આશા ઠગારી નીવડી શકે

હવે આ મુદ્દે રાજકારણ તેજ થશે, કેમ કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ભૂમિપૂજનમાં આવવાની ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે. શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેનો રામ મંદિર આંદોલન સાથે લાંબો સંબંધ રહ્યો છે. આવામાં ઉદ્ધવ ઠાકરેની આશા ઠગારી નીવડી શકે છે.

200 મહેમાનોનાં નામ જાહેર નહીં કરાય

આ ભૂમિપૂજનમાં 200 મહેમાનો જાહેર નહીં કરાય. આ યાદીમાં 200 મહેમાનોનાં નામ પર ગોપનીયતા રાખવામાં આવી રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ મહેમાનનું નામ પબ્લિકમાં જાહેર નહીં કરવામાં આવે. આ 200 લોકોનાં નામ નક્કી કરવામાં વિહિપ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, રામ મંદિર ઉચ્ચાધિકાર સમિતિના મુખ્ય સભ્યો અને ઉચ્ચ વહીવટી તંત્રની મહત્ત્વપૂર્ણ ભમિકા રહેશે.

માર્યા ગયેલા કારસેવકોના પરિવારના સભ્યોને બોલાવાશે

અહેવાલો મુજબ અયોધ્યાના વિધાનસભ્ય, સંસદસભ્ય, મેયરને પણ ભૂમિપૂજનમાં બોલાવવામાં આવ્યા છે. જોકે રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા ભાજપના નેતાઓને આમંત્રણ નથી મોકલવામાં આવ્યાં. પ્રાપ્ત માહિતી છઠ્ઠી ડિસેમ્બર,1992ની ઘટનામાં માર્યા ગયેલા કારસેવકોના પરિવારના સભ્યોને બોલાવવામાં આવી રહ્યા છે. વર્ષ 1991માં જે કારસેવકો પર ગોળી ચલાવવામા આવી હતી, તેમના પરિવારને પણ બોલાવવામાં આવી રહ્યા છે. અન્ય ધર્મના કેટલાક ખાસ લોકોને બોલાવવામાં આવી રહ્યા છે. રામ મંદિર આંદોલનના પક્ષકાર ઇકબાલ અન્સારીને બોલાવવામાં આવે એવી પણ શક્યતા છે.