કોરોનાના 20,000થી વધુ નવા કેસો, 379નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 20,903 નવા કેસ સામે આવ્યા છે અને 379 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત સાતમા દિવસે કોવિડ-19ના 18,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 6,254,544 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 18,213 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,79,891 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,27,439એ પહોંચી છે. રિકવરી રેટ 60.72 ટકાએ પહોંચ્યો છે.

કોરોનાની પહેલી દેશી વેક્સિન તૈયાર, 15 ઓગસ્ટે લોન્ચ કરાશે

ભારત બાયોટેક કંપનીએ પોલિયો, રેબિઝ, રોટા વાઇરસ, જાપાની ઇનસેફ્લાઇટિસ, ચિકનગુનિયા અને જિકા વાઇરસ માટે પણ વેક્સિન બનાવી છે. હ્યુમન ટ્રાયલ માટે એનરોલમેન્ટની શરૂઆત સાત જુલાઈથી થવાની શક્યતા છે. ત્યાર બાદ તબક્કાવાર ટ્રાયલ કરવામાં આવશે. જો ટ્રાયલ સફળ થશે તો 15 ઓગસ્ટે વેક્સિનને લોન્ચ કરવામાં આવશે.

અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના 53,000 નવા કેસ

અમેરિકામાં કોરોના વાઇરસે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 53,069 નવા કેસ નોંધાયા છે અને 649 લોકોનાં મોત થયાં છે. આ સાથે કોરોનાથી મોતનો આંકડો 1,28,677એ પહોંચ્યો છે.  આ એક દિવસમાં સંક્રમિત દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. સતત બીજા દિવસે અમેરિકામાં કોરોનાના નવા કેસો 50,000થી વધુ આવ્યા છે. અમેરિકામાં કોરાનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 27 લાખને પાર થઈ ગઈ છે.

વિશ્વમાં કોરોનાથી 1.09 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,24,036 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 10,984,735એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.