મુંબઈઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ના મળવાથી મહાયુતિ અને વિરોધ પક્ષોના મહા વિકાસ આઘાડી (MVA) માટે 150થી વધુ બળવાખોરો શિરદર્દ બને એવી શક્યતા છે. 20 નવેમ્બરે થનારી ચૂંટણીમાં નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હતી અને ઉમેદવારોના નામાંકન પત્રની તપાસ 30 ઓક્ટોબરે કરવામાં આવશે. ચૂંટણી જંગની નામ પરત લેવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર છે. ત્યાર બાદ મેદાનમાં બચેલા બળવાખોરોની સંખ્યા સ્પષ્ટ થશે.
અત્યાર સુધી મળેલા આંકડાઓ અનુસાર 286 MVA ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમાંથી 103 કોંગ્રેસના, 96 ઉદ્ધવ સેના અને 87 ઉમેદવારો NCP-શરદ પવારના છે. હવે મહાયુતિ તરફથી કુલ 284 ઉમેદવારીપત્રો ભરાયા છે. બંને પાર્ટીઓ પાંચ સીટો પર સામસામે છે. આ સિવાય બે બેઠકો માટે ઉમેદવારો આપી શકાયા નથી. જેને કારણે ભાજપને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોપાલ શેટ્ટી બોરીવલી જેવી સીટ પર બળવાખોર તરીકે લડી રહ્યા છે, જ્યારે પાર્ટીએ સંજય ઉપાધ્યાયને મેદાનમાં ઉતાર્યા છે. એ જ રીતે છગન ભુજબળના ભત્રીજા સમીરે નંદગાંવ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.
બંને ગઠબંધનના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે બળવાખોરોને હરાવવા એક પડકાર બની રહેશે. તેમ છતાં બંને તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે બળવાખોરોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નવાબ મલિકે પણ શિવાજીનગર બેઠક પરથી રાજીનામું આપી દીધું છે, આ પણ એક સમસ્યા છે. આ ઉપરાંત સોલાપુર પશ્ચિમ સહિત ઘણી બેઠકો પર ઉદ્ધવ સેના અને કોંગ્રેસના ઉમેદવારો પણ સામસામે છે.
