જામિયા મિલિયા સહિત 12,000થી વધુ NGOનાં FCRA-લાઇસન્સ રદ

નવી દિલ્હીઃ મધર ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીનું FCRA લાઇસન્સ રિન્યુ નહીં કર્યા પછી દેશભરમાં આશરે 12,000થી વધુ બિનસરકારી સંસ્થા (NGO’s)નું fcra લાઇસન્સ શુક્રવારે એટલે કે 31 ડિસેમ્બર, 2021એ પૂરું થઈ ગયું છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે 6000 NGOમાંથી મોટા ભાગનાં લાઇસન્સ રિન્યુ માટેની અરજી નથી આવી.

વિદેશથી દાન કે ફંડ પ્રાપ્ત કરવા માટે Foreign Contribution Regulation Act-FCRA હેઠળ સ્વયંસેવી  સંસ્થાઓએ લાઇસન્સ લેવું પડે છે. મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે બધી NGOને 31 ડિસેમ્બર પહેલાં FCRAએ રિન્યુ માટેની અરજી કરવા માટે રિમાઇન્ડર મોકલવામાં આવ્યું હતું, પણ કેટલીય NGOએ અરજી નહોતી મોકલી. જ્યારે અરજી જ નથી આવી તો પછી મંજૂરી કેવી રીતે આપી શકાય? એમ અધિકારીએ કહ્યું હતું.

FCRA લાઇસન્સ ગુમાવનાર સંસ્થાઓમાં ઓક્સફેમ ઇન્ડિયા ટ્રસ્ટ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને લેપ્રસી મિશન સહિત કુલ 12,000થી વધુ NGO છે.

હવે દેશમાં માત્ર 16,829 NGO બચ્યા છે, જેની પાસે FCRA લાઇસન્સ છે, જેમના 31 ડિસેમ્બર, 2021એ 31 માર્ચ, 2022 સુધી રિન્યુ કરી દેવામાં આવ્યા છે. FCRA હેટળ 22,762 બિનસરકારી સંસ્થાઓ નોંધણી પામેલી હતી અને એમાંથી અત્યાર સુધી 6500ની અરજીને રિન્યુ માટે આગળ વધારવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે 25 ડિસેમ્બરે મધર ટેરેસા દ્વારા કોલકાતામાં સ્થાપિત મિશનરીઝ ઓફ ચેરિટીની અરજીને પાત્રતાની શરતો પૂરી નહીં કરવાને કારણે ફગાવી દીધી હતી.