ઘરોંદાથી આજનું મુંબઈ… સપનાંના શહેરની સાંકડી હકીકત!

બેએક અઠવાડિયાં પહેલાં મહાનગરોમાં ઘર મેળવવાની માથાકૂટ અને પેયિંગ ગેસ્ટ જેવા વિષય પર બનેલી ફિલ્મો વિશે લખેલું ત્યારે અંતમાં આજીજી કરેલી કે આ વિશે કોઈને કાંઈ કહેવાપણું હોય તો કહેજો એટલે રાજકોટથી મનીષકુમારે કહ્યું કે, “દસ વર્ષ પહેલાં આવેલી મનોજ જોશી-મલ્હાર ઠાકરની ‘થઈ જશે’ ભૂલી ગયા. ઓહ! શોરી. યસ, એ સરસ ફિલ્મ હતી. કોડીનારથી જિજ્ઞેશભાઈએ કહ્યું કે “ત્રણેક વર્ષ પહેલાં આવેલી, સારા અલી ખાન-વિકી કૌશલને ચમકાવતી ‘જરા હટકે જરા બચકે’ પણ ઘર મેળવવાની માથાકૂટ પર આધારિત હતી.” અફ કોર્સ. છેક આટલાન્ટાથી નિમિષ સેવક કહે છે કે “અભિજાત જોશી-રાજકુમાર હીરાણીની જોડી આવા વિષયને ન્યાય આપી શકે.” જી, બિલકુલ.

તો સુરતથી મુકેશ રાણા કહે છે કે “એ બઢું જવા દોની… તમે ‘ઘરોંદા’ વિશે લખો.”

* * *

૧૯૭૭માં કેટલીક ધુરંધર ફિલ્મો રિલીઝ થઈઃ ‘અમર અકબર એન્થની,’ ‘ધરમ વીર,’ ‘પરવરિશ,’ ‘હમ કિસીસે કમ નહીં…’ સાથે, ‘અનુરોધ,’ ‘અપનાપન’, ‘આદમી સડક કા,’ ‘દૂસરા આદમી.’ રાજશ્રી પ્રોડક્શનની ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ તો વર્ષઆખું ફુલ હાઉસ લેતી રહી. ૧૯૭૭ના આવા મસ્તીભર્યા માહોલમાં જ આવી ‘ઘરોંદા,’ જેણે ક્રિટિક્સ અને ફિલ્મરસિકોનાં દિલ જીતી લીધેલાં.

ડિરેક્ટર ભીમસેનની ‘ઘરોંદા’ હિંદી રંગભૂમિના પ્રખ્યાત લેખક ડો. શંકર શેષના નાટક પર આધારિત હતી. પટકથા-સંવાદ ગુલઝારનાં. વાર્તા કંઈ આવી છેઃ એક જ ઓફિસમાં જોબ કરતાં સુદીપ-છાયા (અમોલ પાલેકર-ઝરીના વહાબ) પ્રેમમાં પડે છે ને લગ્ન કરીને સેટલ થવા માગે છે, પણ ઘરનો પ્રોબ્લેમ છે. છાયા ભાઈ-ભાભી સાથે નાનકડા ફ્લેટમાં રહે છે, જ્યારે સુદીપ મિત્રો સાથે ફ્લેટ શેર કરે છે. જેમતેમ બન્ને ડાઉન પેમેન્ટનો જોગ કરીને અંધેરી ઈસ્ટમાં ગોલ્ડ સ્પોટ ફેક્ટરીની પાસે નવા બંધાતા બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરે છે, પણ બિલ્ડર ફ્રોડ નીકળે છે, પૈસા ડૂબી જાય છે. આ બનાવ સુદીપને ભાંગી નાખે છે.

જે કંપનીમાં બન્ને નોકરી કરે છે એના માલિક, મધ્ય વયસ્ક મિસ્ટર મોદી (શ્રીરામ લાગુ)ને છાયા માટે સ્નેહ છે. સુદીપ છાયાને કહે છેઃ “તું મોદી સાથે પરણી જા. એ હાર્ટ પેશન્ટ છે. થોડા મહિનામાં ગુજરી જશે. પછી આપણે પરણી જઈશું, ઘરની ચિંતા દૂર થઈ જશે.” છાયા આવો નોનસેન્સ પ્લાન સાંભળીને ગુસ્સે થાય છે. ડેસ્પરેટ સુદીપ કહે છેઃ “ઈસ શહર કે લોગ રોને કે લિયે કંધા નહીં દેતે, મરને કા ઈન્તેઝાર કરતે હૈં કંધા દેને કે લિયે…” ક-મને છાયા મિસ્ટર મોદીને પરણી જાય છે. લગ્ન બાદ મિસ્ટર મોદી સાજાનરવા થઈ જાય છે. છાયા પણ આદર્શ પત્ની બનીને રહે છે. હતાશ સુદીપ શહેર છોડી દેવાનું નક્કી કરે છે. એ છાયાને કહે છે કે “આજે રાતે જઈ રહ્યો છું. તું સ્ટેશન પર આવી જજે, આપણે સાથે ભાગી જઈએ…”

પછી શું થાય છે? એ જણાવીને મજા બગાડવી નથી. કદાચ તમારે ‘ઘરોંદા,’ જોવી હોય તો…

ફિલ્મની રિલીઝને અલમોસ્ટ પચાસ વર્ષ વીતી ગયાં, પણ ખાસ કંઈ બદલાયું નથી. મુંબઈમાં ઘર લેતાં આજે પણ કેડ ભાંગી જાય છે, મોઢે ફીણ, આંખમાં પાણી આવી જાય છે. ફિલ્મનો એક સંવાદ છેઃ “યહ બમ્બઈ હૈ પ્યારે! યહાં તો શમશાન કી રાખ ભી બીકતી હૈ. ખરીદો મત, બસ- બેચો.” માયાનગરીનો સ્વભાવ આ એક ડાયલોગ સમજાવી દે છેઃ અહીં સપનાં પણ બજારમાં વેચાય છે, અને લાગણીના સોદા થાય છે.

બે ફિલ્મફેર સહિત અનેક એવોર્ડ્સથી સમ્માનિત થઈ ‘ઘરોંદા.’ જયદેવના સ્વરાંકનવાળાં ત્રણ ગીતમાંથી ભૂપીન્દરસિંહ-રુના લૈલાના સ્વરવાળા “દો દીવાને શહર મેં” માટે ગુલઝારને બેસ્ટ લિરિક્સની કેટેગરીમાં એવોર્ડ મળ્યો, જ્યારે મિસ્ટર મોદીની ભૂમિકા માટે ડો. લાગુને ફિલ્મફેર મળ્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં.

ભારતીય એનિમેશનના ભીષ્મપિતામહ તરીકે ખ્યાતિ મેળવનાર ભીમસેનના પથદર્શક હતા રામ મોહન. એડ ફિલ્મ્સ અને એનિમેશન ફિલ્મો માટે જાણીતા ભીમસેનનાં લઘુ ચિત્રપટ ફિલ્મ્સ ડિવિઝન અને દૂરદર્શન પર પ્રસારિત થતાં. 16 જેટલા નેશનલ એવોર્ડ્સથી સમ્માનિત ભીમસેન-સર્જિત એનિમેશન ફિલ્મ “એક ચીડિયા… અનેક ચીડિયા” આજે પણ મારા જેવા રસિકોને યાદ છે. ‘ઘરોંદા’ એમની પહેલી પૂર્ણ કદની ફિલ્મ. ‘ઘરોંદા’ બાદ એમણે સર્જી ‘દૂરિયાઁ.’ ઉત્તમકુમાર-શર્મિલા ટાગોર-ડો. શ્રીરામ લાગુ અભિનિત આ ફિલ્મ પણ ડો. શંકર શેષની વાર્તા પરથી બની. ફરી એક વાર જયદેવનું મ્યુઝિક, ફરી એક વાર ભૂપીન્દરસિંહ (સાથે અનુરાધા પૌડવાલ)નો સ્વર. રચના? “જિંદગી મેરે ઘર આના…”

2001 સુધી ફિલ્મ્સ-શોર્ટ્સ-એનિમેશન-ટીવીસિરિયલ્સ ક્ષેત્રે કાર્યરત રહેનાર ભીમસેનનું 2018માં 81 વર્ષની વયે અવસાન થયું.