મહાગઠબંધનનું ઘોષણાપત્ર ‘પ્રણ હમારા, સંકલ્પ બદલાવ કા’ જારી

પટનાઃ બિહાર ચૂંટણીમાં મહાગઠબંધને ઘોષણાપત્ર જારી કર્યું હતું. એનું નામ ‘પ્રણ હમારા, સંકલ્પ બદલાવ કા’ આપવામાં આવ્યું હતું. આ ઘોષણાપત્રમાં 25 સૂત્રીય કાર્યક્રમ બિહારવાસીઓની સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પટનામાં આયોજિત એક પત્રકાર પરિષદમાં મહાગઠબંધનના સાથી પક્ષોના નેતાઓએ આ ઘોષણાપત્ર જારી કર્યું હતું. આ સમારોહમાં મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવ સહિત કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સહિત અનેક નેતાઓ હાજર હતા.

આ બદલાવનો સંકલ્પ સૌપ્રથમ 10 લાખ સ્થાયી નોકરીઓને પહેલી કેબિનેટની બેઠકની સાથે શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના યુવાનોને બધી સરકારી પરીક્ષાઓ માટે અરજી ફીમુક્ત કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે. આ સિવાય મનરેગા હેઠળ પ્રતિ પરિવારને બદલે પ્રતિ વ્યક્તિને 100થી વધારીને 200 દિવસ પ્રતિ વર્ષ કામ આપવાનું વચન આપવામાં આવ્યું છે. મનરેગાની જેમ રાજ્યની રોજગાર યોજના બનાવવા પર આશ્વાસન આપવામાં આવ્યું છે.  

આ સંકલ્પ પત્રમાં સમાન કામ માટે સમાન વેતનના વચનને ફરી એક વાર આપવામાં આવ્યું છે. એની સાથે રાજ્યમાં 2005થી લાગુ નવી પેન્શન યોજનાને બંધ કરીને એની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. મહિલાઓના મતો ખેંચવા માટે જીવિકા સમૂહ કેડરને સ્થાયી કરવાના વચન સિવાય બધાને રૂ. 4000 પ્રતિ મહિને માનદ્ તરીકે આપવાની ઘોષણા કરવામાં આવી છે.

ભ્રષ્ટાચાર વિશે કહેવામાં આવ્યું છે કે પ્રદેશના બધા પોલીસ સ્ટેશન અને બ્લોક કચેરીઓમાં વ્યાપેલો ભ્રષ્ટાચારને દૂર કરવાની વાત કરી છે, એ કેવી રીતે દૂર કરશે – એ વિશે કંઈ પણ જણાવવામાં નથી આવ્યું. મહાગઠબંધનના ઘોષણાપત્રમાં સ્માર્ટ ગ્રામ યોજના હેછળ દરેક પંચાયતમાં માન્યતા પ્રાપ્ત ડોક્ટર અને પ્રશિક્ષિત નર્સ સાથે એક ક્લિનિક શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે.

તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું છે કે આમાં 10 લાખ નોકરીઓ, ખેડૂતોનાં દેવાં માફ, કિસાનવિરોધી બિલ કૃષિ બિલનો અસ્વીકાર કરવો, શિક્ષકો માટે સમાન કામનું સમાન વેતન, જીવિકા બહેનોને માનદ વેતનમાં વધારાની સાથે નિયમિત નોકરી, મોંઘા વીજદરોને ઘટાડવા, જૂની પેન્શન યોજના લાગુ કરવા જેવાં 25 વચનો આપવામાં આવ્યાં છે.