શપથ લેવા દો, પછી વાત કરુંઃ રંજન ગોગોઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈ કાલે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રંજન ગોગોઈની રાજ્યસભામાં નિયુક્તિ કરી હતી, ત્યાર બાદ રાજકીય ગરમાટો આવી ગયો છે. પત્રકારો સાથે વાતચીત કરતાં CJI રંજન ગોગોઈએ આ મામલે કહ્યું હતું કે એક વાર શપથગ્રહણ થઈ જવા દો એ પછી વિસ્તારપૂર્વક મિડિયાથી વાતચીત કરીશ કે મેં રાજ્યસભાનું સભ્યપદ કેમ સ્વીકાર્યું.

CJI રંજન ગોગોઈ 17 નવેમ્બર, 2019એ સર્વોચ્ચ અદાલતમાંથી ચીફ જસ્ટિસના પદેથી નિવૃત્ત થયા હતા. તેઓ નિવૃત્ત થયા એ પહેલાં તેમની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે અયોધ્યા મામલે તથા કેટલાક મહત્ત્વપૂર્ણ કેસોનો ચુકાદો આપ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્તિ કરવાને મામલે દાવો કર્યો હતો કે ગોગોઈ કોર્ટ અને પોતાની ઇમાનદારીથી સમજૂતી કરવા માટે યાદ કરવામાં આવશે. કપિલ સિબ્બલએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જસ્ટિસ એચ. આર. ખન્ના પોતાની ઇમાનદારી, સરકારની સામે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે યાદ કરવામાં આવે છે, ત્યારે ચીફ જસ્ટિસ ગોગોઈ  રાજ્યસભામાં જવા માટે સરકાર સાથે ઊભા રહ્યા હતા અને સરકાર અને ખુદની ઇમાનદારી સાથે સમજૂતી કરવા માટે યાદ કરવામાં આવશે.