‘ગુજરાત છોડી દો, જૈનને છોડી દઈશું,’ એવી ભાજપની ઓફરઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર એક નવો આરોપ મૂક્યો છે. તેમનો દાવો છે કે ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમને એ ઓફર આપી છે કે તમે ગુજરાત ચૂંટણી છોડી દો તો બદલામાં સત્યેન્દ્ર જૈનને છોડી મૂકીશું.

ઇન્ડિયા ટુડેથી વાત કરતાં તેમણે દાવો કર્યો હતો કે ભાજપે વચન આપ્યું હતું કે જો આપ ગુજરાતમાં ચૂંટણીની રેસમાંથી દૂર થઈ જશે તો જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને છોડી મૂકવામાં આવશે. તેમનો આ નવો ચૂંટણી દાવ ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પછી આવ્યો છે.આમ આદમી પાર્ટીના વડાએ દિલ્હીના દારૂ કૌભાંડ વિશે વાતચીત કરી હતી. તેમણે ફરી એક વાર કહ્યું હતું કે ભાજપે સિસોદિયાનો સંપર્ક સાધ્યો હતો અને તેમને ભગવા પાર્ટીમાં સામેલ કરવા માટે રાજી કર્યા હતા. આ ઉપરાંત ભાજપે સિસોદિયાને આપ પાર્ટી છોડવા સાથે તેમની સામેના બધા કેસોને રદ કરવાની પણ રજૂઆત કરી હતી.

તેમણે ભાજપ પર તીખો હુમલો કરતાં જણાવ્યું હતું કે મોરબીનો પૂલ તૂટવાથી રાજ્યમાં ભ્રષ્ટાચાર કેટલો છે? એ માલૂમ પડે છે. તેમણે કહ્યું હતું કે પૂલના દોષીઓને બચાવવામાં આવી રહ્યા છે. તેઓ ઘડિયાળ બનાવતી કંપનીને પૂલના નવીનીકરણનો કોન્ટ્રેક્ટ આપે છે. તેનો માલિક ફરાર છે અને એની ફરિયાદમાં તેમનું નામ કેમ નથી?