બચાવ-કામગીરીના સંકલન માટે 4 પ્રધાન યૂક્રેન જશે

નવી દિલ્હીઃ યૂક્રેન દેશમાં હાલ ચાલી રહેલી કટોકટીભરી સ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી. છેલ્લા 24 કલાકમાં એમણે આ બીજી બેઠક યોજી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી સરકારના ચાર પ્રધાન કદાચ યૂક્રેનના પડોશી દેશોમાં જશે અને ત્યાં ફસાઈ ગયેલાં ભારતીય નાગરિકોને ઉગારવાની કામગીરીનું સંકલન કરશે.

આ ચાર પ્રધાન છેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, કિરન રિજીજુ અને હરદીપસિંહ પુરી. યૂક્રેનમાંથી ફસાઈ ગયેલાં અને ત્યાંથી પગપાળા પડોશના રોમાનિયા અને હંગેરી પહોંચેલા એક હજારથી પણ વધારે ભારતીય નાગરિકોને ભારત સરકારે એર ઈન્ડિયાના વિશેષ-ચાર્ટર્ડ કરેલા વિમાનો મોકલીને સ્વદેશ પાછાં લાવીને ઉગારી લીધાં છે. પરંતુ યૂક્રેનમાં હજી હજારો ભારતીયો છે જેઓ એમને બચાવી લેવામાં આવે એની રાહ જોઈ રહ્યાં છે.