કેરળમાં પૂરઃ વિદેશી દેશોમાંથી નાણાકીય દાનનો ભારતે નમ્રતાપૂર્વક ઈનકાર કર્યો

નવી દિલ્હી – કેરળ રાજ્યમાં આવેલી અભૂતપૂર્વ, વિનાશકારી પૂરની આફતને પગલે દુનિયાના અનેક દેશોએ ભારતની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા બતાવી છે અને કેરળના પૂરપીડિતો માટે સહાયતાની જાહેરાત કરી છે. પરંતુ, ભારત સરકારે તેની જૂની નીતિને વળગી રહેવાનું નક્કી કર્યું છે, કે બહારના દેશો પાસેથી નાણાકીય મદદ સ્વીકારવી નહીં.

ભારત સરકારે દુનિયાભરમાં ભારતીય દૂતાવાસોને સૂચના આપી દીધી છે કે તમારે એમ કહીને બહારના દેશો પાસેથી નાણાકીય સહાયને નમ્રતાપૂર્વક નકારી કાઢવી કે ભારત સરકારે પડકારોનો સામનો કરવા માટે માત્ર સ્થાનિક પ્રયાસો પર નિર્ભર રહેવાનું જ નક્કી કર્યું છે.

રાજદૂતોને વધુમાં એવી સૂચના અપાઈ છે કે, તમારે બહારના દેશોને એમ જણાવવું કે ભારતની જનતા તથા ભારતની સરકાર પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે.