પરિસ્થિતિ ન સુધરે ત્યાંસુધી રેમડેસિવીર-ઈન્જેક્શન્સની નિકાસ સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ભારત સરકારે વાઈરલ તાવ-પ્રતિબંધાત્મક દવા રેમડેસિવીરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ વધી ગયા છે તેથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે દેશમાં પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રેમડેસિવીર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવીર દવાનો ઈન્જેક્શન તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હાલ કેસ ખૂબ વધી જતાં રેમડેસિવીર દવાની તંગી સર્જાઈ છે.

ગુજરાત અને મુંબઈ સહિત દેશભરમાં કોરોનાના કેસ વધી જતાં રેમડેસિવીર ઈન્જેક્શનની માગ પણ વધી ગઈ છે. ભારતની સાત કંપનીઓ અમેરિકાની ગિલીડ સાયન્સીસ સાથે સ્વૈચ્છિક લાઈસન્સ કરાર અંતર્ગત રેમડેસિવીર બનાવે છે. આ મહિને તેમણે આશરે 38.80 લાખ યુનિટ્સની ક્ષમતા સાથે આ દવાનું ઉત્પાદન કર્યું છે. આ ઉત્પાદક કંપનીઓને જણાવી દેવામાં આવ્યું છે કે તેમણે એમના સ્ટોકિસ્ટ્સ અને વિતરકોની વિગતો પોતપોતાની વેબસાઈટ પર દર્શાવવી.