ઘાતક ‘અમ્ફાન’ વાવાઝોડું બંગાળ, ઓડિશા કાંઠે ત્રાટક્યું

નવી દિલ્હીઃ સુપર સાઈક્લોન કે મહાચક્રવાત ‘અમ્ફાન’એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આજે બપોરે લેન્ડફોલ કર્યું છે અને પવન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પવન ખૂબ તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કોલકાતા હવામાન વિભાગે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં બપોરે 2.30 કલાકે અમ્ફાનના લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી અને આગામી ચાર કલાક સુધી એ જારી રહેશે.

રાહત અને બચાવ કાર્યમાં લાગેલી NDRFના જવાનોએ પૂર્વ મિદનાપોર જિલ્લાના દીઘા અને ઓરિસ્સા સરહદે રસ્તા પર પડેલા વીજ તારોને અને ઝાડોને દૂર કર્યા હતા.  હવામાન વિભાગના ડીજી મૃત્યુજંય મહાપાત્રાએ કહ્યું હતું કે બંગાળના બે જિલ્લાઓમાં તેજ પવનો ચાલી રહ્યા છે અને કોલકાતામાં પણ તેજ હવાઓ ચાલી રહી છે. ભુવનેશ્વરમાં પણ તેજ હવા ચાલી રહી છે અને વરસાદ થઈ રહ્યો છે.

પ.બંગાળ અને ઓરિસ્સામાં લોકોને સુરક્ષિત સ્થાને મોકલાયા

રાજ્ય સરકારોના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં પાંચ લાખથી વધુ અને ઓરિસ્સામાં 1.58 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે, એમ એનડીઆરએફના ડીજીએ જણાવ્યું હતું.

 

 

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર બંગાળની ખાડી પરના આકાશમાં સર્જાયેલું સમુદ્રી વાવાઝોડું ‘અમ્ફાન’ આજે બપોરે અથવા સાંજ સુધીમાં બંગાળના કિનારે ત્રાટકશે. આ વાવાઝોડું ‘અમ્ફાન’ અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડાથી પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાવાની શક્યતા છે. આ પહેલાં ઓડિશાના સમુદ્રી તટના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. દિલ્હી હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું છે કે ‘અમ્ફાન’ 12 કલાકમાં એક સુપર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. એ હાલ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરશે. ઓરિસ્સાના પારાદીપમાં સવારે 4.30 કલાકે હવાની ગતિ 82 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. આ દરમ્યાન 11 મિની પ્રતિ કલાકથી કુલ 144.1 મિમાં વરસાદ થયો છે. હાલ બંગાળની ખાડીમાં ઊઠેલું ચક્રવાતી વાવાઝોડું ‘અમ્ફાન’ આ સમયે ઓરિસ્સાના પારાદીપથી આશરે 155 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત છે.

રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ

બંગાળના તટે પહોંચતાં પહેલાં ‘અમ્ફાન’ તેજ હવાઓની સાથે રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ અને ચારથી પાંચ મીટરની ઊંચી સમુદ્રી લહેરો ઊઠવાની શક્યતા છે. બંગાળના પૂર્વીય મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, હાવડા, હુગલી અને કોલકાતાના જિલ્લા પ્રભાવિત થવાની સંભાવના છે. આ વાવાઝોડાથી ભારે વિનાશ વેરાવાની આશંકા છે. કેન્દ્ર સરકારે સંબંધિત રાજ્યોને સતર્ક કરતાં ભારે વિનાશની ચેતવણી આપી છે.

ઓરિસ્સામાં 1,19,075 લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઓરિસ્સામાં ચક્રવાતી ‘અમ્ફાન’ને જોતાં અત્યાર સુધી 1704 શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે અને 1,19,075 લોકોને ત્યાં ખસેડાયા છે. પારાદીપમાં ગઈ કાલ રાતથી હવા અને વરસાદની ઝડપમાં વધારો થયો છે.

ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના ચાંદીપુરમાં તેજ હવાઓ ચાલવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. ચક્રવાત ‘અમ્ફાન’ આજે બપોરે કે સાંજે જમીનથી ટકરાવાની આશંકા છે.