ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યા ત્રણ નવાં બિલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય (દ્વિતીય) અધિનિયમ 2023 બિલ લોકસભામાં રજૂ કર્યા. તેમણે કહ્યું હતું કે ગુનાખોરીને લગતા આ ત્રણ કાયદાના બદલે રજૂ કરાઈ રહેલા આ ત્રણ બિલ ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવા અને અંગ્રેજોના સમયના કાયદામાંથી મુક્તિ અપાવવા માટે નરેન્દ્ર મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

અગાઉના કાયદામાં આતંકવાદની વ્યાખ્યા પણ ન હતી, પરંતુ હવે સરકાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે. રાજદ્રોહને પણ દેશદ્રોહમાં બદલવામાં આવશે. મોબ લિંચિંગ પણ એક ઘૃણાસ્પદ ગુનો છે. અમે તે બદલ ફાંસીની સજાની જોગવાઈ કરી છે.

ગૃહ મંત્રીએ કહ્યું હતું કે મારો તમને સવાલ છે કે તમે પણ દેશમાં વર્ષો સુધી શાસન કર્યું, તો તમે મોબ લિંચિંગ વિરુદ્ધ કાયદો કેમ ના બનાવ્યો? તમે મોબ લિંચિંગ શબ્દનો ઉપયોગ ફક્ત અમને ગાળો આપવા કર્યો, પરંતુ સત્તામાં હતા ત્યારે કાયદો બનાવવાનું જ ભૂલી ગયા. આ ત્રણેય બિલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. તે બનાવતાં પહેલાં 158 કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો હતો. અગાઉ સીઆરપીસીમાં 484 કલમ હતી, જેમાં હવે 531 કલમો હશે. 177 કલમમાં ફેરફાર કરાયા છે, 39 નવી પેટા કલમ અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે ‘આ ત્રણેય બિલના માધ્યમથી સરકાર ત્રણેય કાયદાને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યા છે.