HCએ CM કેજરીવાલના જામીનનો આદેશ રદ કર્યો

નવી દિલ્હીઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. હાઇકોર્ટે કેજરીવાલને રાહત ના આપતાં નિયમિત જામીન પર વચગાળાનો સ્ટે જારી રાખ્યો હતો. ગયા ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને દિલ્હી લિકર નીતિ કેસમાં મની લોન્ડરિંગના આરોપના મામલામાં નિયમિત જામીન આપ્યા હતા.

દિલ્હીની નીચલી કોર્ટે કેજરીવાલને 20 જૂને જામીન આપી મોટી રાહત આપી હતી, જોકે આજે દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન પરનો આદેશ રદ કરી  દીધો હતો. જસ્ટિસ સુધીર કુમાર જૈનની ખંડપીઠે રાઉઝ એવન્યુ કોર્ટના આદેશને રદ કરી દીધો છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે  કેજરીવાલને જામીન આપતી વખતે નીચલી અદાલતની વેકેશન બેન્ચે તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે અમે બંને પક્ષોને સાંભળ્યા, પરંતુ નીચલી અદાલતે EDના દસ્તાવેજો અને PMLAની કલમ 45ની બેવડી શરતોને ધ્યાને ન લીધા હતા.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે EDના એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ દલીલ કરી હતી કે નીચલી અદાલતે કહ્યું હતું કે આટલા બધા દસ્તાવેજો વાંચવા શક્ય નથી. આવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય હતી. આના પરથી લાગી રહ્યું છે કે ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું નથી.દિલ્હીની રાઉઝ એવ્યુ કોર્ટે કેજરીવાલને 20 જૂન ગુરુવારે જામીન આપ્યા હતા જેના વિરોધમાં EDએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. EDએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો. EDએ PMLAની કલમ 45નો હવાલો પણ આપ્યો હતો. ED વતી એએસજી રાજુએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે, કેમ કે આરોપી મુખ્ય મંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે.