માસ્ક વ્યવસ્થિત ન પહેરવા બદલ ચાર-પેસેન્જરો દંડાયા

નવી દિલ્હીઃ અલાયન્સ એરની જમ્મુ-દિલ્હી ઉડાનમાં વારંવાર ચેતવણી આપ્યા છતાં યોગ્ય રીતે માસ્ક નહીં પહેરવા બદલ ચાર પેસેન્જરોને મંગળવારે સુરક્ષા એજન્સીઓને હવાલે કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ આ માહિતી આપી હતી. વિમાન નિયામક ડીજીસીએએ શનિવારે એરલાઇનોને કહ્યું હતું કે વારંવાર ચેતવણીઓ આપ્યા છતાં યોગ્ય રીતે માસ્ક નહીં પહેરનારા પેસેન્જરોને તેઓ વિમાનથી ઉતારી દે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશનના નિયમોથી મળેલી સત્તા હેઠળ એલાયન્સ એર ઉપરોક્ત ચાર પેસેન્જરોને ઉપદ્રવી જાહેર કરે એવી શક્યતા છે અને પોતાની ફ્લાઇટ્સમાં ત્રણથી 24 મહિનાઓ માટે તેમને પ્રતિબંધિત કરે એવી સંભાવના છે. એલાયન્સ એર સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાની સબસિડિયરી છે. એ વિશે પૂછવામાં આવતા એલાયન્સ એરના પ્રવક્તાએ કહ્યું હતું કે એરલાઇન યુવાથી માંડીને સિનિયર સિટિઝન સુધીના બધી ઉંમરના પેસેન્જરોને સેવા આપે છે.

એલાયન્સ એર પ્રત્યેક પેસેન્જરને જણાવે છે કે ફ્લાઇટ્સમાં નિયમિતરૂપે ઘોષણાઓ કરતી રહે છે અને વારંવાર અનુરોધ કરવામાં આવ્યા છતાં જ્યારે પેસેન્જર નિર્ધારિત દિશા-નિર્દેશોનું પાલન નથી કરતા અને અન્ય પેસેન્જરોને જોખમમાં મૂકે છે, ત્યારે અમે સંબંધિત અધિકારીઓને એને જાણ કરીએ છીએ.

હવાઇ પ્રવાસ દરમ્યાન માસ્કનું વિશેષ ધ્યાન રાખો, માસ્કને નાકની નીચે આવશે તો તમને ફ્લાઇટ્સમાંથી ઉતારી મૂકવામાં આવે એવી શક્યતા છે. ફ્લાઇટ્સમાં યોગ્ય મરીતે માસ્ક નહીં લગાવતા પેસેન્જરની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા કોરોનાથી બચવાના નિયમના સખય પાલન માટે પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે.