રીમોટ વોટિંગની શક્યતા તપાસવા સમિતિ રચાશે

નવી દિલ્હીઃ દૂરસ્થ મતદાનની શક્યતા તપાસવા માટે ચૂંટણી પંચે એક સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે. નવા વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમારને જ ઉત્તરાખંડમાં એક દૂરસ્થ મતદાન કેન્દ્ર ખાતે પહોંચવા માટે પહાડી રસ્તાઓ પર કલાકો સુધી ચાલીને જવું પડ્યું હતું. એના પરથી જ એમની આગેવાની હેઠળના ચૂંટણી પંચે બે મહત્ત્વના નિર્ણય લીધા.

એક, આવા દૂરસ્થ મતદાન કેન્દ્ર-મથક ખાતે ફરજ પર જતા ચૂંટણી અધિકારીઓનું આર્થિક વળતર ડબલ કરી દેવું. મતલબ કે મતદાનના દિવસ પૂર્વે ત્રણ દિવસ અગાઉથી જ એમના વળતરની ગણતરી કરવી. બીજું, રીમોટ વોટિંગ. ચૂંટણી પંચને માલૂમ પડ્યું છે કે ઘણા મતદારોનું નામ અમુક શહેરમાં નોંધાયું હોય પરંતુ એમને શિક્ષણ કે રોજગાર તથા અન્ય હેતુઓસર જુદા શહેરમાં જઈને રહેવું પડતું હોય છે. એમને ચૂંટણી વખતે પોતાનો મતાધિકાર હાંસલ કરવા માટે એમના રજિસ્ટર્ડ મતદાન કેન્દ્ર ખાતે જવાનું મુશ્કેલ રહેતું હોય છે. તેથી ચૂંટણી પંચને એવું જણાયું છે કે રિમોટ વોટિંગની શક્યતાની તપાસ કરવી જોઈએ. કદાચ પ્રયોગાત્મક ધોરણે. પરપ્રાંતીય (સ્થળાંતરિત, માઈગ્રન્ટ) મતદારોને નડતા પ્રશ્નોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. એ માટે સંબંધિત વ્યક્તિઓ અને રાજકીય પક્ષો સાથે મસલત કરીને નિર્ણય લેવાશે.