કોરોનાથી મૃત્યુઆંક એક લાખને પારઃ કોરોનાની વેક્સિન 2021ના ઉનાળા પહેલાં નહીં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 64 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 79,476 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1069 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 64,73,545 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,00,842 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 54,27,706 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 75,628 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,44,996 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.84 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.55 ટકા થયો છે.

કોરોનાની વેક્સિન 2021ના ઉનાળા પહેલાં નહીં

વૈશ્વિક રોગચાળા કોરોના વાઇરસની વેક્સિન વિકસિત કરવા માટે કામ કરી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોવિડ-19 માટે પ્રભાવી વેક્સિન સામાન્ય લોકો માટે 2021માં ઉનાળા પહેલાં આવે તેવી સંભાવના નથી. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના અનુસંધાનકર્તાઓએ વેક્સીન વિકસિત કરવા માટે કામ કરી રહેલા 28 વિશેષજ્ઞોને લઈને સર્વેક્ષણ કર્યો છે. જે વિશેષજ્ઞોનો આ સર્વેક્ષણમાં સમાવેશ કર્યો હતો તેમાં મોટા ભાગના કેનેડા કે અમેરિકાના વૈજ્ઞાનિક હતા, જે છેલ્લા 25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.