ભાજપમાં જોડાવા માટે CM પદની ઓફરઃ સિસોદિયા

નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ CBIની રેડ અને લુકઆઉટ નોટિસની વચ્ચે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે મારી પાસે ભાજપનો સંદેશ આવ્યો છે- તમે AAP તોડીને ભાજપમાં આવી જાઓ. બધા CBI, EDના કેસ બંધ કરાવી દઈશું. આપના પ્રવક્તા આતિશીએ દાવો કર્યો હતો કે સિસોદિયાને મુખ્ય મંત્રી બનાવવાની લાલચ પણ આપવામાં આવી હતી. સિસોદિયાએ પણ આ દાવાની પુષ્ટિ આપતાં પ્રતિક્રિયા આપી છે.

મારો ભાજપને જવાબ છે કે હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી લઈશ, પણ ભ્રષ્ટાચારો-ષડયંત્રકારોની સામે નહીં ઝૂકું. મારી સામે બધા ખોટા કેસ છે. જે કરવું હોય એ કરી લો.

આ પહેલાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું હતું કે આવા સમયે જ્યારે સામાન્ય વ્યક્તિ મોંઘવારીથી ઝઝૂમી રહી છે, કરોડો યુવકો બેરોજગાર છે. કેન્દ્ર સરકારે બધી રાજ્ય સરકારોની સાથે મળીને બેરોજગારી અને મોંઘવારીથી લડવું જોઈએ. એને બદલે એ દેશથી લડી રહી છે. રોજ સવારે ઊઠીને CBI, EDના ખેલ શરૂ કરી દે છે, એમાં દેશ પ્રગતિ કઈ રીતે કરે?

દિલ્હીમાં નવી આબકારી નીતિમાં કૌભાંડના આરોપને લઈને CBIએ આઠ લોકોની સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. આ લોકો દેશ છોડીને નહીં જઈ શકે. આ લિસ્ટમાં વિજય નાયર, સમીર મહેન્દ્રુ અને દિનેશ અરોડાનું નામ પણ સામેલ છે. CBIએ આરોપ લગાવ્યો છે કે નવી દારૂ નીતિ બનાવવા અને લાગુ કરવામાં દારૂની કંપનીઓએ અને વચેટિયાઓ સામેલ છે. દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના નજીકના અમિત અરોડા, દિનેશ અરોડા, અર્જુન પાંડએ આ આબકારી નીત લાગુ થવાને બદલે કમિશન લીધું છે. આ મામલામાં નોંધાયેલા FIRમાં મનીષ સિસોદિયાને પહેલા આરોપી બનાવવામાં આવ્યા છે.