ચાર-દિવસનું કાર્યસપ્તાહ? કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ

નવી દિલ્હીઃ પગારદાર લોકોને મોટી રાહત થાય એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ નવા શ્રમિક કાયદાઓને અમલમાં મૂકે એવી ધારણા છે, જેને પગલે કર્મચારીઓ માટે ચાર-દિવસના કાર્યસપ્તાહની પદ્ધતિ શરૂ કરવાનો માર્ગ મોકળો બનશે.

જો ચાર-દિવસનું કાર્યસપ્તાહ લાગુ થાય તો કર્મચારીઓએ ત્રણ દિવસની રજાને ધ્યાનમાં લઈ બાકીના વર્કિંગ દિવસોમાં વધારે સમય સુધી કામ કરવું પડશે. હાલ કર્મચારીઓને કલાક-સપ્તાહના વર્ક રેશિયો અનુસાર કામ કરવું પડે છે. એટલે કે પ્રતિ સપ્તાહ 48 કલાક કામ કરવું પડે છે. ધારો કે, કર્મચારીઓને સપ્તાહમાં બેને બદલે ત્રણ દિવસ રજા અપાય, એટલે કે ચાર-દિવસનું કાર્યસપ્તાહ લાગુ થાય અને પ્રતિ સપ્તાહ વર્કિંગ કલાકોની સંખ્યા – 48 યથાવત્ રહે તો કર્મચારીઓએ કામકાજના ચાર દિવસો માટે દરરોજ 12 કલાક કામ કરવું પડે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO)એ ઘડેલા નિયમો અનુસાર, કામકાજનું સામાન્ય ધોરણ પ્રતિ સપ્તાહ 48 રેગ્યૂલર કલાકોનું છે, જેમાં દરરોજ આઠ કલાકથી વધારે રાખી શકાતા નથી.