તો બેન્ક-ખાતેદારોને 90-દિવસમાં પાંચ-લાખ સુધીની રકમ પાછી-મળશે

નવી દિલ્હીઃ ધારો કે કોઈ બેન્ક ફડચામાં જાય તો 90 દિવસની અંદર બેન્કના ખાતેદારોને રૂ. પાંચ લાખ સુધીની રકમ વીમા જોગવાઈ અંતર્ગત ઉપાડવા દેવા માટે ડિપોઝીટ ઈન્શ્યુરન્સ ક્રેડિટ ગારન્ટી કોર્પોરેશન (DICGC) દ્વારા સૂચવવામાં આવેલા સુધારાને કેન્દ્રીય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે.

કેન્દ્રીય માહિતી-પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે બેન્કો પર ભારતીય રિઝર્વ બેન્ક મોરેટોરિયમ (સ્થગિતતા આદેશ) લાદે છે ત્યારે એને કારણે ખાતેદારોને જે તકલીફો ભોગવવી પડે છે એને ધ્યાનમાં રાખીને DICGCની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાનમંડળની આજની બેઠકમાં નક્કી કરાયું છે કે મોરેટોરિયમ લાગુ કરાયાના 90 દિવસની અંદર ડિપોઝીટરોને એમની પાંચ લાખ સુધીની રકમ પાછી મળી શકશે.