કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મુકાશેઃ કોંગ્રેસના સાંસદ

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી જારી છે. કોંગ્રેસ બહુમત આગળ છે, જેમાં કોંગ્રેસ 119, ભાજપ 72 અને જેડીએસ 26 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું હતું કે અમે ચૂંટણી જીત્યા છે તો બજંરગ દળ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એ અસર કોંગ્રેસની ભારત જોડો યાત્રાની છે.કર્ણાટકની જનતાએ નફરતના રાજકારણને નકારી કાઢ્યું છે. બજરંગ બલીના આશીર્વાદ અમને મળ્યા છે. બધા સૂફી સંતોના આશીર્વાદ અમને મળ્યા છે.

કર્ણાટક કોંગ્રેસે બેંગલુરુની ફાઇવસ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરી દીધા છે. જીતેલા તમામ વિધાનસભ્યોને રાત્રે આઠ કલાક સુધીમાં હોટેલમાં પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. આવતી કાલે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક થશે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત પછી છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચી હતી. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને આગળ રાખીને મત માગ્યા હતા. આ મોદીની હાર છે. બજરંગ બલીની ગદા ભ્રષ્ટાચારીઓના શિરે પડી છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમ્યાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો, આજે એ કર્ણાટક ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

UPA ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓએ શાનદાર કેમ્પેન કર્યું. કર્ણાટકે સાંપ્રદાયિક રાજકારણને નકારીને વિકાસનું રાજકારણ પસંદ કર્યું છે. આવનારી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ એનું પુનરાવૃત્તિ થશે.