ભડકાઉ ભાષણના કેસમાં આઝમ ખાનને 3 વર્ષની જેલ

રામપુર (ઉત્તર પ્રદેશ): 2019માં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ જાહેરમાં એક ભડકાઉ ભાષણ કરવા બદલ અત્રેની સંસદસભ્ય/વિધાનસભ્ય કોર્ટે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય મોહમ્મદ આઝમ ખાનને આજે અપરાધી જાહેર કરી ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. તે ઉપરાંત એમને રૂ. 25,000નો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે જોકે આ કેસમાં એમને જામીન પર છોડ્યા છે.

કોર્ટે આઝમ ખાનને ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની કલમ 153-એ (બે જૂથ વચ્ચે વૈમનસ્ય પેદા કરવું) અને 505-1 (જનતા ઉશ્કેરાય એવું નિવેદન કરવું) તેમજ લોકપ્રતિનિધિત્વ કાયદા-1951ની કલમ 125 હેઠળ અપરાધી જાહેર કર્યા છે. આકાશ સક્સેના નામના ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ આઝમ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એમણે કોર્ટના નિર્ણયને આવકાર આપ્યો છે અને કહ્યું છે કે આને લીધે લોકો કોઈ પણ પ્રકારના બદનામીભર્યા નિવેદનો કરતા બે વાર વિચારશે.